દિવાળી દરમિયાન ખાનગી બસના સંચાલકો દ્વારા લોકો પાસેથી બેગણા ભાડા વસુલવામાં આવશે તો તેની સામે કાર્યવાહીની ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવેલ ચીમકી સામે સુરત લક્ઝરી બસ એસોસિએશન દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો છે.
સુરત લક્ઝરી બસ એસોસિયેશનના પ્રમુખે જણાવ્યું છે કે, ગૃહમંત્રી દ્વારા જે પગલા ભરવાની વાત કરવામાં આવી છે તેમાં તેઓ સદંતર ખોટા પડી રહ્યા છે. લક્ઝરી બસનો બિઝનેસ છે તે અમારું પોતાનું પેસેન્જર વાહન છે. સરકાર ક્યારેય પણ ટેક્સમાં રાહત અથવા સબસીડી આપતી નથી. જે લક્ઝરી બસ બને છે તે અમારા પૈસાની બને છે. જેમાં ભાવ બંધારણમાં સરકાર હસ્તક્ષેપ કરી શકે નહિ. ઉપરાંત દિવાળી દરમિયાન ફ્લાઇટ, વંદે ભારત ટ્રેન, એસટીમાં પણ સમયાંતરે કનેક્ટિવિટી વધતા ભાવ વધારો કરવામાં આવે છે.
દિવાળી દરમિયાન ખાનગી લક્ઝરી બસના સંચાલકો દ્વારા પેસેન્જર પાસે બેગણા ભાડા વસૂલવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે.હાલ જ આ ફરિયાદને લઈ રાજ્યગૃહ મંત્રીએ પણ વધુ ભાડા વસુલ કરતા ખાનગી લક્ઝરી બસના સંચાલકો સામે કાર્યવાહીની ચીમકી આપી હતી.ત્યારે ગૃહમંત્રી દ્વારા ખાનગી લક્ઝરી બસના સંચાલકો સામે કાર્યવાહીની ચીમકી આપતા સુરત લક્ઝરી બસ એસોસિયેશન દ્વારા નારાજગી વ્યક્ત કરી વળતો જવાબ આપવામાં આવ્યો છે.
સુરત લક્ઝરી બસ એસોસિયેશનના પ્રમુખ દિનેશ અણઘડે જણાવ્યું હતું કે, લક્ઝરી બસના ભાડામાં કોઈ વધારો થવાનો નથી.હીરા અને ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગમાં મંદીનો માહોલ છે.ડીઝલના ભાવમાં પણ 93 રૂપિયા સુધી પોહચી ગયો છે.છતાં ગત વર્ષે જે ભાડા લેવામાં આવ્યા હતા,તે ભાડા જ આ વર્ષે પણ વસુલ કરવામાં આવશે.જેમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. માત્ર લોકોમાં ગેરસમજ ઊભી થઈ છે. દિવાળીના ત્રણ દિવસ સુધી લક્ઝરી બસ પેસેન્જરને જે તે સ્થળે છોડી રિટર્નમાં ખાલી આવતી હોય છે. ભારે ટ્રાફિકને પણ પહોંચી વળવામાં પણ ઘણી મુશ્કેલીઓ થતી હોય છે. આવી લક્ઝરી બસનો રિટર્નનો ખર્ચ પણ ડબલ થઈ જતો હોય છે. લક્ઝરી બસ સંચાલકો દ્વારા આવો કોઈ ભાવ વધારો કરવામાં આવ્યો નથી.


