તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા કેશ ફોર ક્વેરી વિવાદમાં ઘેરાયેલા છે. સાંસદ પર આરોપ છે કે સંસદમાં તેમણે પૈસા લઇને અદાણી ગ્રુપને લઇને સવાલ પૂછ્યા હતા આ વચ્ચે પશ્ચિમ બંગાળ સરકારે અદાણી ગ્રુપને મોટો ઝટકો આપતા 25 હજાર કરોડ રૂપિયાના તાજપુર પોર્ટને વિકસિત કરવાનો પ્રોજેક્ટ છીનવી લીધો છે.
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે તાજપુર પોર્ટ પરિયોજનાને વિકાસ કરવા માટે જલ્દી એક ટેન્ડર જાહેર કરવામાં આવશે. આ પહેલા આ પરિયોજનાનું કામ અદાણી ગ્રુપને આપવામાં આવ્યું હતું. મહત્ત્વપૂર્ણ છે કે જ્યારે તાજપુર પોર્ટને વિકસિત કરવાનું કામ અદાણી ગ્રુપને આપવામાં આવ્યું હતું ત્યારે રાજકીય ચર્ચાઓ થઇ હતી. કહેવામાં આવતું હતું કે એક તરફ વિપક્ષ અદાણી ગ્રુપ પર પ્રહાર કરી રહ્યું છે તો બીજી તરફ પશ્ચિમ બંગાળમાં મમતા સરકાર મોટા પ્રોજેક્ટનું કામ તે ગ્રુપને જ સોપી રહી છે.
મમતા સરકારે કેટલાક મહિના પહેલા જ તાજપુર પોર્ટને વિકસિત કરવા માટે અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિમિટેડને ઉદ્દેશ પત્ર જાહેર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી, તેનાથી અદાણી ગ્રુપને બંગાળમાં 25 હજાર કરોડના રોકાણનો રસ્તો સાફ થયો હતો. જોકે, હવે સરકારે અદાણી પોર્ટને સોપવામાં આવેલા આશય પત્રને રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ કારણ છે કે ખુદ મુખ્યમંત્રી મમતા બેનરજીએ સ્પષ્ટ કર્યું કે આ પ્રોજેક્ટ માટે ટેન્ડર જાહેર કરવામાં આવશે. કોઇ પણ કંપની હરાજીમાં સામેલ થઇ શકે છે અને બોલી લગાવી શકે છે. બંગાળના મુખ્યમંત્રીએ બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટના ઉદ્દઘાટન કાર્યક્રમમાં આ જાહેરાત કરી છે.
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ 2022માં ભાગ લીધો હતો અને 10 હજાર કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી. તે પછી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ખુદ કોલકાતામાં અદાણી પોર્ટ્સના સીઇઓ કરણ અદાણીને પરિયોજનાને વિકસિત કરવા એલઓઆઇ સોપ્યુ હતુ. રસપ્રદ વાત આ છે કે આ વર્ષે બંગાળ સરકારની બિઝનેસ ઇવેન્ટમાં અદાણી ગ્રુપના કોઇ વ્યક્તિએ ભાગ લીધો ન હતો.