મહુવા તાલુકાના વાઘનગર ગામમાં થોડા દિવસ પહેલા માતાજીના મઢે શ્રીફળ વધેરવા બાબતે થયેલ બોલાચારીની દાઝ રાખી પાંચ શખ્સે તેના કુટુંબીઓ ઉપર કુહાડી, પાઇપ સહિતના હથિયારો વડે હુમલો કરતા પાંચ વ્યÂક્તને નાની મોટી ઇજા થઈ હતી. આ બનાવ અંગે મહુવા ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના વાઘનગર ગામમાં રહેતા જાધાભાઈ દુલાભાઈ પરમારના પિતા દુલાભાઈ તેમજ દાદા રણછોડભાઈને પંદર દિવસ પહેલા માતાજીના મઢે શ્રીફળ વધેરવા બાબતે તેમના કુટુંબી હીરાભાઈ બાબુભાઈ પરમાર સાથે રકઝક હતી અને બાદમાં સમાધાન પણ થઈ ગયું હતું.
ગઈકાલે સાંજે માતાજીના મઢે થયેલી બોલાચાલીની દાઝ રાખી હીરાભાઈ બાબુભાઈ પરમાર, નરેશ હીરાભાઈ પરમાર, રઘુભાઈ હીરાભાઈ પરમાર, મનુભાઈ ભાણાભાઈ પરમાર, રાજેશ ભાણાભાઈ પરમાર કુહાડી, લોખંડનો પાઇપ, પથ્થર, લાકડી લઈને આવ્યા હતા અને દુલાભાઈ પરમાર, રણછોડભાઈ, વલ્લભભાઈ, જાધાભાઈ અને તેમના ભાઈ રામજીભાઈ ઉપર હુમલો કરતા તમામને નાની મોટી ઇજા થઈ હતી. આ બનાવ બાદ નરેશ હીરાભાઈ પરમારે આવીને ધમકી પણ આપી હતી.
આ બનાવ અંગે જાધાભાઈ દુલાભાઈ પરમારે તેમના કુટુંબીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મહુવા ગ્રામ્ય પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.