અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.૨૨મી જાન્યુઆરીના રોજ યોજાવાનો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ પવિત્ર ઉત્સવ ના સંદર્ભમાં દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા સફાઈ માટે સાર્વત્રિક રીતે સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે.
ગુજરાત વડાપ્રધાનના આ આહવાનને ઝિલી લેવા પ્રતિબદ્ધ છે. રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા સફાઈ અભિયાનનું જન આદોલન હાથ ધરાયું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ રાજ્યવ્યાપી અભિયાનમાં રવિવાર, ૧૪ જાન્યુઆરી ,મકર સંક્રાંતિના દિવસે સવારે ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ મંદિરમાં સામૂહિક સફાઈ દ્વારા સહભાગી થયા હતા. તેમણે મંદિર પરિસરની સફાઈ કરી હતી અને ધોળેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શિવજીના દર્શન અર્ચન કર્યા હતા. ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તેમજ શહેર અને જિલ્લાના સંગઠનના અગ્રણીઓ આ અભિયાનમાં જોડાયા હતા.