ફ્રાન્સના કેરેબિયન ટાપુ પર 9 ગુજરાતી ફરવા ગયા અને એક વર્ષ જેવો સમય થયો હોવા છતાં મળ્યા નથી. આ અંગે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણી ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેન્ચ સમક્ષ હાથ ધરવામાં આવી હતી. જેમાં અરજદારના વકીલે જણાવ્યું હતું કે, આ 9 લોકોને ડિટેઇન સેન્ટરમાં રખાયા હોવાની શક્યતા છે.
અરજદારોના જણાવ્યા પ્રમાણે 9 લોકો ફ્રાન્સ અંતર્ગતના કેરેબિયન ટાપુઓમાં ફરવા ગયા હતા. જ્યાંથી તેઓ 3 ફેબ્રુઆરી, 2023થી ખોવાઈ ગયા હતા. ત્યારબાદ તેઓ મળ્યા નથી. તેઓ હોડીમાં કોમનવેલ્થ ડોમિનિકાથી સેન્ટ માર્ટિન ટાપુ ઉપર જતા હતા. તેઓ કેરેબિયન્સ ટાપુઓ અંતર્ગતના કોઈ ટાપુ ઉપર ફસાયા હોય શકે અથવા તેમને ડિટેઈન કરાયા હોઇ શકે.
આ મુદ્દે ભારત સરકારના વિદેશ મંત્રાલય અને દેશના ગૃહમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ભારત સરકારે તેમની ભાળ મેળવવા પ્રયત્ન કર્યો હતો. છેલ્લી માહિતી મુજબ તેઓ guadeloupe ટાપુ ઉપર ફસાયેલા હોઇ શકે છે. આજની સુનાવણીમાં અરજદારના વકીલે જણાવ્યું હતું કે, ત્યાંની સરકાર ગેરકાયદેસર આવેલા લોકોની માહિતી આપતી નથી. તેમને ડિટેઈન સેન્ટરમાં રખાયા હોવાની શક્યતા છે. આ જગ્યાએ જવા માટે અલગથી પરવાનગી લેવી પડે છે, જે ફ્રાંસમાં જવા માટેના વિઝા લેવા કરતા અઘરી બાબત છે. અમારી પાસે કેટલીક માહિતી હાથ લાગી છે.
અરજદાર દ્વારા ત્યાંની મહિલા એડવોકેટ અને પેરિસના એડવોકેટને હાયર કરવામાં આવ્યા છે. બે વકીલ પણ ત્યાં જાય તેવી શક્યતા છે. જેથી તેમને ઝડપી વિઝા મેળવવા કોર્ટ મદદ કરે. જોકે, કોર્ટે તેમાં પડવાનો ઇનકાર કરી દિધો હતો. જોકે, અરજદારે સ્વીકાર્યું હતું કે, તેઓ નજીકના કોઈ દેશમાં વગર વિઝાએ જઈ રહ્યા હતા. ડોમિનિકા રિપબ્લિકની પોલીસ સાથે પણ સંપર્ક કરાયો હતો.