લોકસભા ચૂંટણી પહેલાં ચૂંટણીપંચે કડક કાર્યવાહી કરીને 6 રાજ્યના ગૃહ સચિવોને હટાવવાના આદેશ આપ્યા છે, જેમાં ગુજરાત, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. આ સાથે વિવેક સહાયને પશ્ચિમ બંગાળના નવા ડીજીપી બનાવવામાં આવ્યા છે. ત્યારે કૃષિ, કિસાન કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશને ગુજરાતના અધિક ગૃહ સચિવનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
ચૂંટણી પંચે સોમવારે ગુજરાતના પંકજ જોશી, ઉત્તર પ્રદેશના સંજય પ્રસાદ, બિહારના એસ સિદ્ધાર્થ, ઝારખંડના અરવા રાજકમલને હટાવી દીધા હતા. આ સિવાય હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના ગૃહ સચિવને પણ હટાવી દીધા છે. આ તમામ લોકો મુખ્યમંત્રી કાર્યાલયમાં એડિશનલ ચાર્જ સંભાળતા હતા. મહારાષ્ટ્રના મુખ્ય સચિવ સામે નારાજગી વ્યક્ત કરતા પંચે BMC અને વધારાના/ડેપ્યુટી કમિશનરોને આજે સાંજે 6 વાગ્યા સુધીમાં રિપોર્ટ સબમિટ કરવા અને અધિકારીઓની બદલી કરવાનો નિર્દેશ આપ્યો હતો.
મિઝોરમ અને હિમાચલ પ્રદેશમાં સામાન્ય વહીવટી વિભાગના સચિવને પણ હટાવવામાં આવ્યા હતા. રાજીવ કુમારની અધ્યક્ષતામાં ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુની સોમવારે બપોરે મળેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગુજરાતના અધિક ગૃહ સચિવ પંકજ જોશી વર્ષ 1989 બેચના આઈએએસ છે. તેઓ અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એસીએસ રહી ચૂક્યા છે. નિર્વિવાદિત છબિ ધરાવતા પંકજ જોશી તાજેતરમાં જ અધિક ગૃહ સચિવ તરીકે નિયુક્ત થયા હતા. તત્કાલીન આઈએએસ મુકેશ પુરી 31 જાન્યુઆરી, 2024ના રોજ નિવૃત્ત થયા બાદ પંકજ જોશીને ગૃહ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો હતો.