હિંદ મહાસાગરમાં ચીનની વધતી ગતિવિધિ અને ચાંચિયાઓના આતંકને જોતા ભારતે મોટું પગલું ભર્યું છે. ભારતે હિંદ મહાસાગર અને તેની આસપાસના વિસ્તારોમાં રેકોર્ડ 11 સબમરીન તૈનાત કરી છે જે પાણીમાં મોટું ઓપરેશન હાથ ધરી છે. આ સાથે ભારતીય નૌકાદળે 35 યુદ્ધ જહાજો પણ તૈનાત કર્યા છે જે સતત દેખરેખ અને પેટ્રોલિંગ કામગીરી કરી રહ્યા છે.
દરિયાઈ વિસ્તારમાં 5 એરક્રાફ્ટ પણ તૈનાત કરવામાં આવ્યા છે જેથી જરૂર પડ્યે તરત જ હવાઈ મદદ મળી શકે. તાજેતરના વર્ષોમાં ચીને હિંદ મહાસાગર ક્ષેત્રમાં તેની હાજરી મજબૂત કરી છે. વિવિધ પ્રવૃત્તિઓના બહાના હેઠળ ચીન આ વિસ્તારમાં સતત નૌકાદળના જહાજો, સેટેલાઇટ ટ્રેકર્સ અને સબમરીન મોકલી રહ્યું છે. હવે ભારતે પણ પોતાની સ્થિતિ મજબૂત કરવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે.
ભારતીય નૌકાદળે ત્રણ દાયકામાં પ્રથમ વખત કામગીરી માટે એકસાથે 11 પરંપરાગત સબમરીન તૈનાત કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ જમાવટ છેલ્લા બે દાયકામાં ભારતીય સબમરીન ઈતિહાસથી તદ્દન વિપરીત છે. મહત્વનું છે કે, છેલ્લી વખત 1990 ના દાયકાની શરૂઆતમાં ભારતીય સબમરીનને મોટી સંખ્યામાં એકસાથે તૈનાત કરવામાં આવી હતી. તે સમયે ભારતીય નૌકાદળે 8 રશિયન કિલો-ક્લાસ, ચાર HDW (જર્મન) અને ચાર રશિયન ફોક્સટ્રોટ સબમરીન તૈનાત કરી હતી. ભારત પાસે હાલમાં 16 પરંપરાગત સબમરીન છે. તેમાં પાંચ સ્કોર્પિયન-ક્લાસ (ફ્રેન્ચ), ચાર HDW (જર્મન) અને સાત કિલો-ક્લાસ (રશિયન) સબમરીનનો સમાવેશ થાય છે. બીજી સ્કોર્પિયન ક્લાસ સબમરીન કમિશનિંગની રાહ જોઈ રહી છે. આ રીતે આવતા વર્ષ સુધીમાં ભારત પાસે 17 પરંપરાગત સબમરીન હશે.