કોલકાતા એરપોર્ટ પર બુધવારે રનવે પર પાર્ક કરેલા એર ઈન્ડિયાના વિમાન સાથે ઈન્ડિગોની ફ્લાઈટ અથડાઈ હતી. આ ટક્કરમાં બંને વિમાનોને નુકસાન થયું છે. એર ઈન્ડિયાની ફ્લાઈટની પાંખનો એક ભાગ તૂટી ગયો હતો. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ આ ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે. તેમજ ઈન્ડિગોના પાઈલટ અને કો-પાઈલટ બંનેને ડ્યુટી પરથી હટાવી દેવામાં આવ્યા છે.
DGCAના અધિકારીએ જણાવ્યું કે આ ઘટના ઈન્ડિગોની A320 VT-ISS ફ્લાઈટ અને એર ઈન્ડિયા એક્સપ્રેસ 737 VT-TGG વચ્ચે બની હતી. એર ઈન્ડિયાનું વિમાન ચેન્નાઈ માટે ટેકઓફ થવાનું હતું અને રનવે પર પહોંચવાની રાહ જોઈ રહ્યું હતું. તે દરમિયાન ઈન્ડિગોની ફ્લાઈટ રનવે પર આવી અને એર ઈન્ડિયાના પ્લેન સાથે અથડાઈ હતી. જેના કારણે વિમાનની પાંખને નુકસાન થયું હતું.
અધિકારીએ જણાવ્યું કે, “અમે આ મામલે તપાસનો આદેશ આપ્યો છે અને ઈન્ડિગો એરલાઈન્સના બંને પાઈલટને ઓફ-રોસ્ટર કરવામાં આવ્યા છે.” તપાસ દરમિયાન ગ્રાઉન્ડ સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવશે. તપાસ માટે બંને ફ્લાઈટ રોકી દેવામાં આવી હતી.
આ ઘટના અંગે ઈન્ડિગો દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. એરલાઇનના પ્રવક્તાએ કહ્યું- કોલકાતા એરપોર્ટ પર ઇન્ડિગો અને અન્ય એરક્રાફ્ટ વચ્ચે સામાન્ય ટક્કરની માહિતી મળી હતી. વિમાનને તપાસ માટે રોકી દેવામાં આવ્યું હતું. આ કારણે કોલકાતા અને દરભંગા વચ્ચે ઈન્ડિગોની ફ્લાઈટ 6E 6152 મોડી પડી છે. પ્રોટોકોલ મુજબ ઘટનાનો રિપોર્ટ DGCAને સુપરત કરવામાં આવશે.