અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર ગઈકાલે સિક્યોરિટી અને ઓટોરિક્ષાચાલકો વચ્ચે છુટ્ટાહાથની મારામારી થઈ હતી. આ બનાવના વીડિયો સામે આવ્યા છે. જેમાં રિક્ષાચાલકો એરાઇવલ એરિયા સુધી પહોંચી ગયા હતા અને સિક્યોરિટી ગાર્ડ સાથે ઉગ્ર બોલાચાલી કરી હાથાપાઇ ઉપર ઊતરી આવ્યા હતા. રિક્ષાચાલકોએ સિક્યોરિટી ગાર્ડને દોડાવી દોડાવીને માર્યો હતો. આ દૃશ્યો જોઈ એરપોર્ટમાં રહેલા મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
એક રિક્ષાચાલકે અપશબ્દો પણ બોલ્યા હતા. આ અંગે એરપોર્ટ દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી છે અને ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.રાતના સમયે કેટલાક રિક્ષાચાલકો નશામાં ધૂત થઈને રાતના સમયે આવતા મુસાફરો માટે પોતાની રિક્ષામાં સવારી લેવા માટે ટાઉટિંગ કરતા હોય છે. ત્યારે ગઈકાલે રાતે સિક્યોરિટી ગાર્ડે રિક્ષાચાલકોને ટાઉટિંગ કરતા અટકાવ્યા હતા. આ દરમિયાન કેટલાક રિક્ષાચાલકો અરાઇવલ એરિયા સુધી પહોંચી ગયા હતા અને એરપોર્ટ ઉપર ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડ ઉપર છુટ્ટાહાથની મારામારી પણ કરી હતી. ફક્ત આટલું જ નહીં પરંતુ અપશબ્દો બોલી એરપોર્ટનો માહોલ અશાંત કર્યો હતો. તેને કારણે મુસાફરો અચંબામાં મુકાયા હતા.
મારામારીનાં દૃશ્યો જોઈને કેટલાક મુસાફરો ડરી પણ ગયા હતા.દિવસે ને દિવસે મુસાફરોની સુવિધા માટે નવતર પ્રયાસો કરી રહ્યું છે. દર મહિને મુસાફરોની સુવિધા વધારવા માટે કંઈક ને કંઈક નવું કરતા અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા પાંચ મહિનાથી ઓટોરિક્ષાચાલકો અને એરપોર્ટ પર ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડ વચ્ચે અણબનાવ સતત બનતા રહે છે. અગાઉ પણ ઓટોરિક્ષાચાલકો દ્વારા આઉટિંગના કિસ્સાઓમાં સિક્યોરિટી ગાર્ડ દ્વારા રોકવામાં આવતા તેમના પર હુમલા થયાના બનાવો સામે આવ્યા હતા. ત્યારબાદ વ્યવસ્થામાં બદલાવ લાવતા આ પ્રકારના કિસ્સાઓનું પ્રમાણ ઘટ્યું હતું. પરંતુ છેલ્લા બે દિવસથી ફરીથી સિક્યોરિટી ગાર્ડ અને ઓટોરિક્ષાચાલકો વચ્ચે વાતાવરણ ગરમાયું છે. જેમાં ગઈકાલે મોડીરાત્રે મારામારીનાં દૃશ્યો સામે આવ્યાં હતાં.