સુરતના પુણાગામ ક્રિષ્નાનગર સોસાયટીમાં રહેતા શાકભાજીના વેપારીનું ઘર બપોરના સમયગાળા દરમિયાન બંધ હતું. આ દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી ઘરમાં સુટેક્શમાં મુકેલા રોકડ રૂપિયા 5 લાખની ચોરી કરી તસ્કરો પલાયન થઇ ગયા હતા. બનાવને પગલે ભોગ બનનાર વેપારીએ આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મિત્રએ જ મિત્રના ઘરમાં ચોરી કરવા અન્યને સોપારી આપી હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ સબે આરોપીને ઝડપી પાડી શેરડીના ખેતરમાં ખાડો કરીને સંતાડી દીધેલા રૂપિયા પણ કબેજ કર્યા છે.
પુણાગામ કલ્યાણનગરની બાજુમાં ક્રિષ્નાનગર સોસાયટીમાં રહેતા ચંચલસીંગ અશોકસીંગ ચૌહાણ (ઉ.વ.32) શાકભાજીનો ધંધો કરે છે. મૂળ યુપીના અલ્લાહબાદના વતની ચંચલસીંગના ઘરમાં ગત તા 15 એપ્રિલના રોજ બપોરના ચાર વાગ્યાથી સાંજના સાડા છ વાગ્યાના આરસામાં તસ્કરો ત્રાટક્યા હતા. મુખ્ય દરવાજાના રૂમનું તાળુ ખોલી અંદર ઘુસેલા તસ્કરોએ રૂમમાં મુકેલી કાળા કલરની સુટકેશમાં મુકેલા રોકડા 5 લાખ સુટકેસ સાથે ચોરી કરી નાસી ગયા હતા. પોલીસે ચંચલસીંગની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.
વી.આર પટેલ (એસીપી)એ જણાવ્યું હતું કે, ફરિયાદી દ્વારા જે રીતના જવાબો આપવામાં આવ્યા હતા તેના પર પણ શંકા જઈ હતી. જેથી ફરિયાદીને બોલાવીને પૂછપરછ કરવામાં આવતા તેને આવા જવાબો આપવા માટે તેના મિત્ર સુનિલ ઉર્ફે કાળુ સીતારામ સરોજે કહ્યું હતું. સુનિલની પણ પૂછપરછ કરવામાં આવતા તેના પર પણ શંકા ગઈ હતી.
કાપોદ્રા પોલીસ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવી હતી, જેમાં ફરિયાદીના ઘરમાંથી એક યુવક સૂટકેસ લઈને જઈ રહ્યો હોય તેવું સામે આવ્યું હતું. જેથી સુનિલ પર શંકા હોવાથી તેને કાપોદ્રા પોલીસ સ્ટેશન લાવીને સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં સુનિલ ભાંગી પડ્યો હતો અને તમામ હકીકતની કબુલાત કરી હતી.