દેશમાં સાત તબક્કામાં યોજાનાર લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કાનું મતદાન પૂરું થતાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની 26 પૈકી 25 બેઠકો માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. ગુજરાતના સ્થાપના દિનના દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચારનો આરંભ કરે તેવી રીતે આયોજન કરાયું છે. વડાપ્રધાન 1-2 મે એમ બે દિવસમાં જ છ જાહેર સભાઓ ગજવશે. સંભવત: વડોદરામાં રોડ શો પણ કરી શકે છે.
વડાપ્રધાનનો પ્રવાસ દક્ષિણ ગુજરાતની બેઠકો સિવાય કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને આવરી લેશે. જેમાં દરેક સભામાં આસપાસની ત્રણ-ચાર બેઠકોને આવરી લેવાશે.રાજ્યની હવે 25 બેઠકો પર જ ખરાખરીનો જંગ રહ્યો છે. ભાજપ માટે આણંદ, રાજકોટ, બનાસકાંઠા, વલસાડ, સુરેન્દ્રનગર, જામનગર જેવી બેઠકો પર ક્ષત્રિયોનો પડકાર છે.
અમિત શાહ 27થી 29 એપ્રિલ પ્રચાર પ્રવાસ શરૂ કરશે
ગુજરાતમાં 5 મેના રોજ પ્રચારના પડઘમ શાંત થાય એ પહેલાં ભાજપના નેતાઓ નાની નાની સભાઓ, બેઠકો, સામાજિક બેઠકો યોજી પ્રચાર કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તા.27થી 29 એપ્રિલ દરમિયાન દાહોદ, પંચમહાલની એક સંયુક્ત સભા યોજશે. અમિત શાહ બારડોલીથી 27મીએ પોતાનો પ્રચાર પ્રવાસ શરૂ કરશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ અમિત શાહની સભાઓ ગોઠવાઇ રહી છે.