ક્ષત્રિય સમાજે જણાવ્યું છે કે ક્ષત્રિયોને પીએમ મોદી સામે કોઈ વાંધો નથી. તેની સાથે ગુજરાત રાજ્ય ક્ષત્રિય-રાજપૂત સંગઠનોની સંકલન સમિતિએ ગુજરાતમાં યોજાનારી પીએમ મોદીની જાહેર સભાનો વિરોધ ન કરવા અપીલ કરી છે. સંકલન સમિતિએ સમગ્ર સમાજને જણાવ્યું હતું કે વિરોધના ભાગરૂપે આપણે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની નીતિ પર અડગ રહીશું, પરંતુ તેની સાથે સંકલન સમિતિએ સમુદાયને અપીલ કરી છે કે આપણે પીએમ મોદીનો વિરોધ ન કરીએ.
સંકલન સમિતિએ આશંકા વ્યક્ત કરી છે કે પીએમની જાહેરસભામાં ક્ષત્રિય સમાજના આંદોલનની આડમાં કોઈ દુશ્મન કે કોઈ ખોટા ઇરાદા સાથે રાજ્યના હિતમાં વાતાવરણ બગાડી શકે છે. સંકલન સમિતિએ પીએમ મોદીનો વિરોધ ન કરવા પાછળનું કારણ આપતા જણાવ્યું હતું કે દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. તેથી નેતાઓની રેલીઓ અને જાહેર સભાઓનું આયોજન કરવામાં આવશે. આવી સ્થિતિમાં કેટલાક લોકો અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન કરશે. તેના લીધે સંકલન સમિતિએ પત્ર જારી કરીને જણાવ્યું છે કે ક્ષત્રિય સમાજ પીએમની સુરક્ષામાં કોઈ મુશ્કેલી કે સમસ્ય ઊભા કરવાનું વિચારી પણ ન શકે. સંકલન સમિતિએ જણાવ્યું છે કે ભાજપના બહિષ્કારની નીતિ સાથે અમારું આંદોલન શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે ચાલુ રહેશે.બૂથ મેનેજમેન્ટને મજબૂત કરીને અમે ભાજપ સામે લડતા ઉમેદવારને મત આપીશુ.