લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે આજે એટલે કે 1 મેના રોજ ગુજરાતનો સ્થાપના દિવસ છે. આ નિમિત્તે આજે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત વિવિધ નેતાઓએ ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે અને ગૃહરાજ્યમંત્રીએ ટ્વીટ કરીને નાગરિકોને આ વિશેષ દિવસની શુભકામનાઓ પાઠવી છે.
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેટ્વીટ કરી લખ્યું કે, ‘ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ – ગુજરાત ગૌરવ દિવસની સૌ ગુજરાતીઓને હાર્દિક શુભકામના. ગુજરાતની સ્થાપનામાં અને ગૌરવશાળી વિકાસમાં યોગદાન આપનાર સૌને સાદર વંદન પાઠવું છું.’ સીએમએ આગળ લખ્યું કે, ‘ગુજરાતની પુણ્યધરા પર દૈવી તત્વના આશિષ છે, અહીં સંતો-સાધુજનોનું તપોબળ છે, અહીં પ્રકૃતિની મહેર છે, શૂરવીરોનું શૌર્ય છે, ઉદ્યમશીલતાના વૈભવથી આપણું ગુજરાત સુશોભિત છે. આવો, આપણે સૌ ગુજરાતીઓ સહિયારા પુરુષાર્થથી અમૃતકાળમાં વિકસિત ગુજરાતનું નિર્માણ કરીએ. ગુજરાતનો વિકાસ અવિરત વધતો રહે તથા સૌ નાગરિકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સદાકાળ બની રહે એ જ અભ્યર્થના… જય જય ગરવી ગુજરાત.’
ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટર પર પોસ્ટ કરી લખ્યું કે, ‘આવો, વ્હાલા ગુજરાતીઓ ગુજરાતી હોવાનું ગૌરવ કરીએ, સૌ સાથે મળીને ગુજરાતની ગરવી અસ્મિતાને ઉજાગર કરીએ ! જય જય ગરવી ગુજરાત….. ગુજરાત સ્થાપના દિવસની અનેકાનેક શુભકામનાઓ !’ જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે લખ્યું કે, જય જય ગરવી ગુજરાત !! આપણું ગુજરાત “સાવજ” અને “મહાપુરૂષો”ની ભૂમિ છે ! આપણાં ગુજરાત પાસે વૈવિધ્યતાનો વારસો છે, આપણાં ગુજરાતમાં સંસ્કાર છે, કલા છે, સાધુ-સંતોની કૃપા છે. આપણાં ગુજરાતીઓએ ગુજરાતને દુનિયાનાં ખૂણે ખૂણે ધબકતું રાખ્યું છે. આપ સૌને ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ગુજરાતનાં સૌ મહાપુરૂષોને વંદન પાઠવું છું !
કેન્દ્રીયમંત્રી અને રાજકોટબેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ટ્વીટ કરી લખ્યું કે, ‘સંતો અને મહાત્માઓથી સુશોભિત, શાંતિ અને શક્તિનો સંદેશ આપતી ભૂમિ એટલે ગુજરાત… “ગુજરાત સ્થાપના દિવસ” ની સમસ્ત ગુજરાતીઓને હાર્દિક શુભેચ્છાઓ… ચાલો, આપણે સૌ આપણા સહિયારા પ્રયાસો અને પરિશ્રમ થકી ગતિશીલ ગુજરાતની સમૃદ્ધિમાં વધારો કરીએ.