ગાંધીનગરથી રાજપૂત અગ્રણી અર્જુનસિંહ ગોહિલે ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અરજી ઉપર હવે આજે જજ વૈભવી નાણાવટીની કોર્ટ સમક્ષ સુનાવણી હાથ ધરાશે. અરજદારના એડવોકેટ દ્વારા રાજ્ય અને અમદાવાદ શહેર પોલીસ કમિશનરને નોટિસ આપવાની માગ કરતા આવતીકાલે સવારે 11 વાગ્યે આ કેસ ઉપર સુનાવણી હાથ ધરાશે. સરકારી વકીલે આ કેસમાં એડિશનલ એડવોકેટ જનરલ મનીષા શાહ ઉપસ્થિત થવા જણાવ્યું હતું. જો કે, કોર્ટે પક્ષકારોને હાલ કોઇ નોટિસ આપી નથી.
ઉલ્લેખનીય છે કે, અરજદારે 19 એપ્રિલે અમદાવાદ શહેર પોલીસ કમિશનરના 16 એપ્રિલ, 2024ના જાહેરનામાને હાઇકોર્ટમાં પડકારતી અરજી દાખલ કરી હતી. જે 22 એપ્રિલે રજિસ્ટર્ડ થઈ હતી અને 23 એપ્રિલે સિંગલ જજની બેન્ચ સમક્ષ રજૂ થઈ હતી. સુનાવણીમાં બેન્ચે રજિસ્ટ્રીને સૂચન કર્યું હતું કે, આ મેટરને યોગ્ય બેન્ચ સમક્ષ મૂકવામાં આવે. રજિસ્ટ્રી દ્વારા 1 મેના રોજ આ મેટર તે જ બેન્ચ સમક્ષ પરત મૂકવામાં આવી હતી. અરજદારના એડવોકેટે 23 એપ્રિલે જણાવ્યું હતું કે, તેમની પાસે ફક્ત 15 દિવસનો સમય છે. ત્યારબાદ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાશે. જો કે, કોર્ટે કહ્યું હતું કે, 15 દિવસ હોય કે એક દિવસ યોગ્ય બેન્ચ જ આ મેટર સાંભળશે.
રાજપૂત સમાજ વતી હાઇકોર્ટમાં થયેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, અરજદારના બંધારણીય હક્કોનો ભંગ થઈ રહ્યો છે. બંધારણના આર્ટિકલ 19 અને 21નો ભંગ થઈ રહ્યો છે. અરજદારે અમદાવાદ શહેર પોલીસ કમિશનરના 16 એપ્રિલ, 2024ના જાહેરનામાને હાઈકોર્ટમાં પડકાર્યો છે. પોલીસ કમિશનરે વિરોધ કરતા રોકવા, કાળા વાવટા ફરકાવતા રોકવા, આચારસંહિતાના અમલ દરમિયાન તેના ઓથા હેઠળ અમદાવાદ શહેરમાં CRPC 144 અંતર્ગત જાહેરનામું બહાર પાડ્યું હતું. જે મુજબ ભેગા મળીને વિરોધ અને બેનર બતાવવા ઉપર પ્રતિબંધ છે. રાજપૂત સમાજ શાંતિથી દેવાવો કરી રહ્યા છે. અત્યારે સુધીમાં કોઈ અનિચ્છનીય ઘટના બની નથી. દેખાવથી જાહેર જનતાને પણ અગવડ પડી નથી. પરંતુ શહેર પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર શાંતિપૂર્વક દેખાવો થઈ શકતા નથી.