આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લિકર પોલિસી કેસમાં તિહાર જેલમાં 40 દિવસ પૂરા કર્યા છે. સુપ્રીમ કોર્ટ આજે એટલે કે 10 મેના રોજ તેનો ચુકાદો સંભળાવશે કે તેને જામીન આપવામાં આવશે કે નહીં. કેજરીવાલે તેમની ધરપકડ વિરુદ્ધ કરેલી અરજી પર પણ આજે સુનાવણી થશે.
7 મેના રોજ લંચ પહેલા થયેલી સુનાવણીમાં કોર્ટે કેજરીવાલના જામીનની શરતો નક્કી કરી હતી. કોર્ટે EDને કહ્યું હતું કે ચૂંટણી ચાલી રહી છે અને કેજરીવાલ હાલમાં મુખ્યમંત્રી છે. ચૂંટણી 5 વર્ષમાં એકવાર આવે છે. આ પછી કોર્ટે કેજરીવાલને કહ્યું કે જો તમને જામીન આપવામાં આવશે તો તમે ઓફિશિયલ ડ્યુટી નહીં કરી શકશો. જો ચૂંટણી ન હોત તો વચગાળાના જામીનનો પ્રશ્ન જ ઉભો ન થાત. જો કે, 7મી મેના રોજ બેન્ચે કોઈ ચુકાદો આપ્યા વિના મુલતવી રાખી હતી. બેન્ચનું નેતૃત્વ કરી રહેલા જસ્ટિસ સંજીવ ખન્નાએ 8 મેના રોજ કહ્યું હતું કે અમે શુક્રવારે જામીન પર ચુકાદો આપીશું.
આ પછી 9 મેના રોજ EDએ કેજરીવાલના જામીનનો વિરોધ કરીને સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટની ચૂંટણીની દલીલ પર EDએ કહ્યું કે કેજરીવાલ ચૂંટણી લડી રહ્યા નથી. આ પહેલા કોઈપણ નેતાને પ્રચાર માટે જ્યુડિશિયલ કસ્ટડીમાંથી જામીન મળ્યા નથી. પ્રચાર એ મૂળભૂત અધિકાર નથી.
કેજરીવાલની કાનૂની ટીમે EDની એફિડેવિટ સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં ED એફિડેવિટને કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. ખાસ કરીને આ બાબતે આખરી નિર્ણય સુપ્રિમ કોર્ટમાં લેવાનો છે અને સુપ્રીમ કોર્ટની મંજુરી લીધા વગર જ સોગંદનામું રજુ કરવામાં આવ્યું છે .