બિહારના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 12 જિલ્લામાં વીજળી પડવાથી 21 લોકોના મોત થયા છે. રાજ્યની નદીઓમાં પૂર આવ્યું છે. ભાગલપુરમાં ગંગામાં પૂર જેવી સ્થિતિ છે. અનેક ઘરો નદીમાં ડૂબી ગયા છે. લોકો તેમના ઘર છોડવા મજબુર થયા છે.
બીજી તરફ ઉત્તરપ્રદેશમાં નેપાળની સરહદે આવેલા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. પીલીભીત, લખીમપુર ખેરી, બહરાઈચ, શ્રાવસ્તી, બલરામપુર, સિદ્ધાર્થનગર, મહારાજગંજના લગભગ 800 ગામો સતત ત્રીજા દિવસે પૂરની ઝપેટમાં છે, શાહજહાંપુરમાં દિલ્હી-લખનૌ હાઈવે સતત બીજા દિવસે બંધ છે. બલરામપુરની પ્રાથમિક સ્કૂલમાં 3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે.
UP-બિહાર ઉપરાંત સમગ્ર દેશમાં ભારે વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, જમ્મુ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. IMDએ મુંબઈમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેના કારણે રોડ, રેલ અને હવાઈ ટ્રાફિક સેવાને અસર થઈ શકે છે. શુક્રવારે મોડી રાત્રે અને શનિવારે સવારે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. આજે પણ અહીં વરસાદ પડવાની શક્યતા છે.