
ભાવનગર,તા.25
બૃહદ ગીર તરીકે ઓળખાતા ભાવનગરના પાલીતાણા અને જેસર પંથકના ગામોમાં હવે સિંહના ટોળા ફરતા જોવા મળી રહ્યા છે, એક વીડિયો સામે આવ્યો છે જેમાં વનરાજો ટોળા સ્વરૂપે વિહરી રહ્યા હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે જે પ્રકૃતિ પ્રેમીઓ માટે તો અત્યંત રોમાંચકારી છે પરંતુ આ દ્રશ્ય સ્થાનિકો માટે આફતરૂપ બન્યું છે.
દર અસલ વાત એમ બની છે કે, જેસર તાલુકાના પાંડેરીયા તથા તેની આસપાસના ગામોમાં સિંહોની ખુબ જ રંજાડ થતી હોવાની પાંડેરિયા ગામના ખેડૂત વર્ગમાંથી ફરિયાદ ઉઠી છે.
ખેડૂતોના જણાવ્યા અનુસાર પાંડેરીયા તથા તેની આસપાસના વિસ્તારોમાં લગભગ 20થી વધુ સિંહો વનવિભાગ દ્વારા છુટા મુકાયા હોય પાંડેરીયા તથા આસપાસના ગામના ખેડૂતોમાં ખુબ ફફડાટ છે.
આ સિંહો દ્વારા વાડી ખેતરે રખાતા ખેડૂતોના માલઢોરનું અવારનવાર મારણ થાય છે ઉપરાંત ખેતીવાડી માટે પાણી વાળવા કે પાકનું ધ્યાન રાખવા વાડી ખેતરે જતા ખેડૂતો ડરી રહ્યા છે, સિંહોનો સતત ભય રહે છે.
સિંહો આપણું ગૌરવ છે, પરંતુ ખેડૂત પણ જગતનો તાત છે. તેનું ધ્યાન રહે અને ખેડૂતોને મુશ્કેલી ના પડે તે માટે વનવિભાગને યોગ્ય ઘટતું કરવા સૂચના આપવા ભાવનગર જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ નાનુભાઈ ડાંખરાએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે.