હિમાચલ પ્રદેશમાં રાત્રે ભારે વરસાદ બાદ 3 જગ્યાએ વાદળ ફાટવાના સમાચાર છે. કુલ્લુ, મંડી અને રામપુરમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. રામપુરના સમેજ ખડ્ડમાં વાદળ ફાટતાં સમેજ ગામના અનેક ઘરો તણાઈ ગયા હતા. 35 લોકો ગુમ છે. નદીના નાળાના જળસ્તરમાં વધવાને કારણે મલાણામાં પાવર પ્રોજેક્ટ 1નો ડેમ તૂટ્યો હતો.
બુધવારે ઉત્તરાખંડના ટિહરી ગઢવાલના ઘનસાલીમાં બુધવારે રાત્રે વાદળ ફાટ્યું હતું. આ ઘટનામાં બે લોકોના મોત થયા હતા. એક વ્યક્તિ ઘાયલ છે. મંડીના ચૌહર ઘાટીમાં પણ મુશળધાર વરસાદ બાદ એક મકાન કાટમાળમાં ધસી ગયું હતું. બે પરિવારના છ સભ્યો ગુમ છે. બુધવારે વરસાદ બાદ ઝારખંડના રોહતાસમાં કશિશ વોટર ફોલમાં અચાનક પાણી વધી ગયું હતું. જેના કારણે અહીં ફરવા ગયેલા 30થી વધુ લોકો ફસાઈ ગયા હતા. જોકે, બાદમાં બધાએ હિંમત એકઠી કરી એક બીજાનો હાથ પકડી પાણીના ભારે વહેણમાંથી બહાર નીકળ્યા હતા.
રુદ્રપ્રયાગમાં પણ કેદારનાથ મંદિરથી લગભગ 4 કિમી દૂર વાદળ ફાટ્યું હતું. આ ઘટના બુધવારે રાત્રે 9 વાગ્યે ગૌરીકુંડથી આગળ રામબાડા અને જંગલચટ્ટીની વચ્ચે ફૂટપાથ પર ભીમ બાલીના ગડેરા ખાતે બની હતી. થોડીવારમાંપહાડો પરથી ખડકો પડવા લાગ્યા હતા. યાત્રાના રૂટમાં 30 મીટરનો રોડ તૂટીને મંદાકિનીમાં સમાઈ ગયો હતો. ઘટના સમયે ત્યાં કોઈ યાત્રી નહોતા, પરંતુ મંદિર, રામબાડા, ગૌરીકુંડની બહાર યાત્રીકો હાજર હતા. અહીં 200થી વધુ લોકો ફસાયેલા છે, તેમને બચાવવા માટે ગૌરીકુંડથી SDRFને રવાના કરવામાં આવી છે. હાલ યાત્રા રોકી દેવામાં આવી છે.
હિમાચલ પ્રદેશના રામપુરના ઝાકરી વિસ્તારના સમેજ ખાડમાં વાદળ ફાટવાથી ઓછામાં ઓછા 20 લોકો લાપતા છે. પ્રશાસન અને SDRFની ટીમ મોકલવામાં આવી હતી.
24 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
વરસાદના રેડ એલર્ટને કારણે દિલ્હી અને કર્ણાટકના કેટલાક જિલ્લાઓમાં ગુરુવારે મોડી રાત્રે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ (IMD)એ ગુરુવારે (1 ઓગસ્ટ) 24 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. કર્ણાટકમાં ઓરેન્જ એલર્ટના કારણે આજે સ્કૂલો અને કોલેજો બંધ રાખવામાં આવી છે.
સંસદ, સુપ્રીમ કોર્ટ, એઈમ્સ, લ્યુટિયન્સ દિલ્હી, ભારત મંડપમ, ઈન્ડિયા ગેટ-રિંગ રોડ ટનલ, પ્રગતિ મેદાન પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક વૃક્ષો ધરાશાયી થયા. જે મુસાફરીમાં દરરોજ 20 મિનિટ સમય લેતી હતી તેમાં 4:30 કલાકથી વધુ સમય લાગ્યો હતો. ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે એલજીએ અધિકારીઓને સતર્ક રહેવા જણાવ્યું છે. ઉત્તર દિલ્હીના સબઝી મંડી વિસ્તારમાં એક ઈમારત ધરાશાયી થઈ છે. દિલ્હીના મયુર વિહાર ફેઝ થ્રીમાં એક મહિલા અને એક બાળક નાળામાં તણાઈ ગયા હતા. ભોંયરામાં પાણી ભરાવાને કારણે ત્રણ દિવસ પહેલા ચર્ચામાં રહેલું જુનું રાજેન્દ્ર નગર ફરી પાણી ભરાઈ ગયું હતું.