બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારની હકાલપટ્ટી બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ પર છે. બાંગ્લાદેશ સાથેની ભારતીય સરહદો પર સંપૂર્ણ સતર્કતા સાથે નજર રાખવામાં આવી રહી છે. બીએસએફે તેના સર્વેલન્સ વિસ્તારની સરહદો પર એલર્ટ જાહેર કર્યું છે. ઘૂસણખોરી ન થાય તે માટે સુરક્ષા દળોને ચાંપતી નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલી અશાંતિ દરમિયાન પ્રતિબંધિત ઈસ્લામિક આતંકવાદી સંગઠન જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ અને અંસારુલ્લા બાંગ્લા ટીમના ઘણા સભ્યો જેલમાંથી ભાગી ગયા હોવાની બાતમી મળી છે. તેઓ ભારતમાં પ્રવેશે તેવી શક્યતાઓને લઈને એજન્સીઓ સતર્ક છે
BSFએ 4,096 કિલોમીટર લાંબી સરહદ પર સાવચેતી રાખવાના નિર્દેશ આપ્યા છે. BSFના મહાનિર્દેશક દલજીત સિંહ ચૌધરી અને તેમની સાથે અન્ય વરિષ્ઠ અધિકારીઓ ભારત-બાંગ્લાદેશ સરહદ સુરક્ષાની સમીક્ષા કરવા પશ્ચિમ બંગાળ પહોંચ્યા અને ટોચના અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ જરૂરી માર્ગદર્શિકા જાહેર કરી. ડીજીએ ઉત્તર 24 પરગણા જિલ્લાની સરહદની પણ મુલાકાત લીધી હતી.