મણિપુરમાં મ્યાનમારથી 900 કુકી ઉગ્રવાદીઓની ઘૂસણખોરી કરી હોવાની વાત સામે આવી છે. રાજ્ય સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે શુક્રવારે 20 સપ્ટેમ્બરે એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઉગ્રવાદીઓની હિલચાલના સમાચાર છે.
સુરક્ષા સલાહકારના જણાવ્યા અનુસાર, ગુપ્તચર એજન્સીઓએ અહેવાલ આપ્યો છે કે ઘૂસણખોરી કરનારા ઉગ્રવાદીઓ ડ્રોન બોમ્બ, શસ્ત્રો, મિસાઇલો અને ગોરિલ્લા યુદ્ધનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ 30-30 લોકોના ગ્રુપમાં છે અને જુદા જુદા વિસ્તારોમાં છુપાયેલા છે. કુલદીપ સિંહે કહ્યું કે, આતંકવાદીઓ 28 સપ્ટેમ્બરની આસપાસ મૈતેઈ ગામો પર હુમલો કરી શકે છે. હુમલાની આશંકા વચ્ચે ચુરાચાંદપુર, તેંગનોપલ, ઉખરુલ, કામજોંગ અને ફેરજૌલ સહિત ઘણા જિલ્લાઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
બીજી તરફ, શુક્રવારે જ ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાં અજાણ્યા બદમાશોએ મણિપુરના મંત્રી એલ. સુસિન્દરોના પર્સનલ આસિસ્ટન્ટનું તેમના નિવાસસ્થાન નજીકથી અપહરણ કરવામાં આવ્યું હતું. અંગત સહાયકની ઓળખ 43 વર્ષીય સારંગથેમ સોમરેન્ડ્રો તરીકે થઈ છે. ઘટના સમયે તે પોતાના સત્તાવાર કામ માટે જઈ રહ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે અપહરણકર્તાઓએ અનેક રાઉન્ડ ગોળીઓ પણ ચલાવી હતી. સ્થળ પરથી પાંચ ખાલી કારતુસ મળી આવ્યા છે. અપહૃત વ્યક્તિની શોધખોળ ચાલુ છે. તેના અપહરણ પાછળનું કારણ જાણી શકાયું નથી. તેમજ કોઈ બળવાખોર જૂથે આ ઘટનાની જવાબદારી સ્વીકારી નથી.