કેરળના કાસરગોડ સ્થિત અંજુતામ્બલમ વીરકાવુ મંદિરમાં સોમવારે રાત્રે લગભગ 12:30 વાગ્યે ફટાકડા ફોડવા દરમિયાન બ્લાસ્ટ થયો હતો. જેમાં 150થી વધુ લોકો ઘાયલ થયા છે. કાસરગોડ પોલીસે જણાવ્યું કે 8 લોકોની હાલત ગંભીર છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મંદિરમાં વાર્ષિક કાલિયટ્ટમ તહેવાર માટે ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા, ત્યારે ફટાકડામાંથી નીકળતા સ્પાર્ક ફટાકડા સ્ટોરેજ એરિયામાં સુધી પહોંચી ગયા, જ્યાં આગના કારણે વિસ્ફોટ થયો.
આ સ્ટોરેજ એરિયામાં 25 હજાર રૂપિયાના ફટાકડા રાખવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માત અંગે મંદિર સમિતિના બે સભ્યોને કસ્ટડીમાં લીધા છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. મંદિર સમિતિએ ફટાકડા અને ફટાકડા ફોડવા માટેનું લાઇસન્સ પણ લીધુ ન હતું. પોલીસે જણાવ્યું કે ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ત્રણ ગંભીર લોકોને પરિયારામ મેડિકલ કોલેજ અને અન્ય કેટલાક લોકોને મેંગ્લોર, કુન્નૂર અને કાસરગોડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાસરગોડ જિલ્લા પોલીસ વડા, કલેક્ટર અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
સાંસદ રાજગોપાલે કહ્યું- હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. ફટાકડા ઓછી તીવ્રતાના હતા, પરંતુ ફટાકડામાંથી તણખા તે જગ્યાએ પડ્યા હતા જ્યાં અન્ય ફટાકડા રાખવામાં આવ્યા હતા. કાસરગોડના સાંસદ રાજમોહન ઉન્નિથને પણ ઘાયલોના સ્વસ્થ થવાની વાત કરી હતી.