કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ આજે દિલ્હીમાં કોંગ્રેસના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સહિત લગભગ 400 નેતાઓ હાજર રહ્યા હતા.નવા હેડક્વાર્ટરનું નામ ઈંદિરા ભવન છે. અત્યાર સુધી તેનું સરનામું 24, અકબર રોડ હતું, જે કોંગ્રેસ પાર્ટીનું કાર્યાલય હતું. લગભગ 46 વર્ષ બાદ આજથી નવું સરનામું ‘ઈંદિરા ગાંધી ભવન’ 9A, કોટલા રોડ છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત પાર્ટીના 400 થી વધુ નેતાઓની હાજરીમાં સવારે 10 વાગ્યે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તેનો શિલાન્યાસ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને સોનિયા ગાંધીએ 2009માં કર્યો હતો. તે 15 વર્ષ પછી બનીને તૈયાર થયું છે.
કોંગ્રેસના નવા કાર્યાલયનો મેન ગેટ આગળથી નહીં પરંતુ પાછળના દરવાજેથી છે. તેનું કારણ ભાજપ છે. ઓફિસનો આગળનો દરવાજો દીનદયાલ ઉપાધ્યાય માર્ગ પર છે. આવી સ્થિતિમાં, આ નામ સરનામાં પર આવતું હતું, તેથી પાર્ટીએ આગળના ગેટને બદલે બેકડોર એન્ટ્રી એટલે કે પાછળના દરવાજાની એન્ટ્રી પસંદ કરી, જે દરવાજો કોટલા રોડ પર ખુલે છે.
70ના દાયકામાં કોંગ્રેસ કાર્યાલય ડૉ.રાજેન્દ્ર પ્રસાદ રોડ પર હતું. તેનું સરનામું 3, રાયસીના રોડ હતું. તેની બરાબર સામે 6, રાયસીના રોડ પર અટલ બિહારી વાજપેયી રહેતા હતા, તેથી કોંગ્રેસે અહીં પણ બેકડોર એન્ટ્રી પસંદ કરી હતી.1978માં કોંગ્રેસમાં વિભાજન થયા પછી, ઓફિસ પાર્ટીના સાંસદ જી વેંકટસ્વામીને ફાળવવામાં આવેલા બંગલા 24, અકબર રોડ પર ખસેડવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી આ કોંગ્રેસ હેડક્વાર્ટરનું સરનામું રહ્યું છે.