14મી જાન્યુઆરી પતંગ પર્વ મુક્ત ગગનમાં વિહરતા પક્ષીઓ માટે મુસીબત લઈ આવે છે, પતંગની કાતિલ દોરીથી પ્રતિવર્ષ અનેક પક્ષીઓ મોતના મુખમાં ધકેલાઈ છે તો અનેક પક્ષીઓ આજીવન ખોટ રહે તે રીતે ગંભીર ઈજાગ્રસ્ત થાય છે. આ સામે રાજય સરકારે કરુણ અભિયાન ચલાવતા ઘાયલ પક્ષીઓને તુરંત સારવાર મળવાથી તેમજ થોડા ઘણા અંશે પણ લોક જાગૃતિ આવતા ઉતરાયણના પક્ષીઓના મોતની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે જે સફળ પ્રયાસો ગણવા રહ્યા! જોકે, પતંગ ચગાવવા માટે કાતિલ દોરીનો ઉપયોગ યથાવત જોવા મળ્યો હતો.
ભાવનગર વન વિભાગના પક્ષી બચાવ અભિયાનમાં સેવાભાવી લોકોનો સહયોગ પણ સારો રહ્યો હતો. આથી પક્ષી ઇજાગ્રસ્ત મળી આવે એટલે તુરંત તેની સારવાર શક્ય બની હતી. વન વિભાગ પાસેથી ઉપલબ્ધ વિગતો મુજબ આ વર્ષે ભાવનગર શહેર અને તાલુકામાં મળી 63 પક્ષીઓ ઘાયલ થયા હતા જેમાં 34 કબૂતરનો સમાવેશ થાય છે, જયારે શેડ્યુલ કાસ્ટમાં આવતા કોયલ, કાંકણાસર, નકટો, ઢોક બગલા, શકરોબાજ, કાજીયા અને અન્યનો સમાવેશ થાય છે. ઘાયલ 63 પૈકી 4 કબુતર અને 2 ઢોક બગલાના મોત થયા હતા.