સુરતના શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટના બેઝમેન્ટમાં 25 ફેબ્રુઆરી રોજ આગની ઘટના બની હતી. જે બાદ 26 ફેબ્રુઆરી સવારે 7 વાગ્યાના અરસામાં ફરી ભીષણ આગ લાગી હતી. લગભગ 24 કલાકથી ઉપર જેટલો સમય થઈ ગયો હોવા છતાં આગ હજુ પણ કાબૂ બહાર હોવાનું જણાઈ રહ્યું છે. 800થી વધુ દુકાનો ભીષણ આગની ચપેટમાં આવી ગઈ હતી જેમાંથી 450 જેટલી દુકાનો બળીને ખાક થઈ ગઈ છે, ત્યારે ભીષણ આગમાં 30થી 40 કરોડનું નુકસાન થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ આગને કાબુમાં લેવા માટે તંત્ર દ્વારા ટર્ન ટેબલ લેડર મશીનથી કામગીરી શરૂ કરવામાં આવી છે.
શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટની આગે સુરતવાસીઓને ઓર્ચિડ ટાવર-રઘુવીર સિલિયમ માર્કેટ આગની યાદ તાજા કરાવી દીધી છે. 29 મે 2014માં પુણા-કુંભારિયા રોડ પર ઓર્ચિડ ટાવરમાં ભીષણ આગ લાગવાની ઘટના હજી પણ લોકોના સ્મૃતિ પટલ પર યથાવત્ છે. સતત ત્રણ દિવસ સુધી લાગેલી આગમાં આખુ માર્કેટ સ્વાહા થઈ ગયું હતું. ત્યાર બાદ જાન્યુઆરી 2020માં સારોલી રોડ પર પુણા-કુંભારિયા ખાતે આવેલા રઘુવીર સિલિયમ ટેક્સટાઈલ માર્કેટમાં પણ વિકરાળ આગમાં આખે આખું માર્કેટ ચપેટમાં આવી ગયું હતું.