ટેક્નોલોજીનાં યુગમાં ઓનલાઈન ગેમિંગ એક યંગસ્ટરો માટે આકર્ષણનું મોટુ કેન્દ્ર બની ગયું છે, પરંતુ તે ગેમમાં જ્યારે પૈસા હાર જીત હોય ત્યારે તે બની જાય છે જોખમી, આ જ રીતે અમદાવાદનો એક સગીર ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી ગયો હતો. 5મી એપ્રિલે રાતનાં 11 વાગે એક 17 વર્ષનાં સગીરે અમદાવાદની વી.એસ હોસ્પિટલની બાજુમાં આવેલા મહેતા કોમ્પલેક્ષનાં પાંચમા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો. જે ઘટનાની જાણ થતા એલીસબ્રિજ પોલીસને સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ માટે રવાના કરી અકસ્માત મોત નોંધી તે સગીરની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી હતી. જેની તપાસમાં સામે આવ્યું કે સગીર તો અમરાઈવાડી વિસ્તારમાં રહેતો હોવાની તેમજ તે સગીરની ઉમર 17 વર્ષ અને તેનુ નામ સમર્થ સુવાસ ભોલે હોવાનો ખુલાસો થયો હતો.
પોલીસે જ્યારે તેનાં પિતા સુવાસ ભોલેને બોલાવી પૂછપરછ કરતા ખુલાસો થયો હતો.એલિસબ્રિજ પોલીસે સગીરનાં પિતાને તેઓની દિકરા સાથે ક્યારે વાત થઈ તે અંગે પૂછતા તેમણે પોલીસને જણાવ્યું કે તેઓનો દિકરો એમજે કોલેજમાં અભ્યાસ કરતો હતો અને સતત પોતાનાં ફોનમાં ઓનલાઈન ગેમ રમતો હતો. 5મી એપ્રિલે સાંજનાં સમયે તેઓનાં બેંક એકાઉન્ટમાંથી 36 હજાર 500 રૂપિયા કપાઈ ગયા હતા. જેથી તેઓએ સમર્થ ભોલેને ફોન કરી આ પૈસા કપાઈ જવા બાબતે પૂછતા સમર્થએ પછી જાણ કરું છું તેવુ જણાવ્યું હતું. જેનાં થોડા સમય બાદ સમર્થ ભોલેએ મહેતા કોમ્પલેક્ષનાં પાચમાં માળેથી ઝંપલાવી મોતને વ્હાલ કર્યું હતું.
આ મામલે પોલીસે પરિવારનાં નિવેદન લેતા આપઘાત કરનાર સગીર ઓનલાઈન ગેમિંગના રવાડે ચઢ્યો હોવાની આશંકા હતી, જેથી પોલીસે સગીરનો ફોન FSL માં મોકલી તેણે આ 36,500 રૂપિયા કયા ખાતામાં મોકલ્યા હતા, તે ક્યારથી આ ગેમ રમતો હતો, અને અત્યાર સુધીમાં કેટલા રૂપિયા ગુમાવી ચુક્યો છે તે અંગે તપાસ શરૂ કરી છે. તેવામાં આ કેસ પરથી એક વાત ચોક્કસથી કહી શકાય કે વ્યસન કોઈ પણ હોય તે જીવલેણ જ હોય છે.