અમેરિકાના કેલિફોર્નિયામાં લાપતા બનેલા 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો. કર્ણાટકનો રહેવાસી સાકેત શ્રીનિવાસૈયા 9 ફેબ્રુઆરીથી લાપતા થયો હતો જે બાદ તેને શોધવા સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. પરંતુ આજે તેનો મૃતદેહ મળી આવ્યો હોવાની પુષ્ટિ થઈ હતી.
સેન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય દૂતાવાસે પુષ્ટિ કરી કે, પોલીસે ગુમ ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ શોધી કાઢ્યો છે. સાકેત શ્રીનિવાસૈયા અમેરિકામાં રહીને પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતો હતો તે કેલિફોર્નિયા યુનિવર્સિટી, બર્કલેનો વિદ્યાર્થી હતો.
દૂતાવાસે એક્સ પોસ્ટમાં જણાવ્યું કે, પોલીસે ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ શોધી કાઢયો છે. મૃતદેહને શક્ય તેટલી વહેલી તકે ભારત મોકલવા જરૂરી મદદ કરવામાં આવશે. દૂતાવાસે પરિવારજનો પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરી હતી.
સાકેત લાપતા થયો તે પહેલા કેમ્પસથી લગભગ 1 કિમી દૂર જોવા મળ્યો હતો. જે બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવાયું હતું. બાદમાં કેમ્પસ નજીકના ટિલ્ડેન રિજનલ પાર્ક નજીક એક મકાન પાસેતી તેને પાસપોર્ટ અને લેપટોપ બેગ મળી આવ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાકેતનો મૃતદેહ બર્કલે હિલ્સ પાસે આવેલી અંજા લેકમાંથી મળી આવ્યો છે. સાકેત શ્રીનિવાસૈયા કેલિફોર્નિયા યુનિવર્સિટી, બર્કલેમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો વિદ્યાર્થી હતા. તે પ્રોડક્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં માસ્ટર ઓફ સાયન્સનો અભ્યાસ કરતો હતો અને મૂળ કર્ણાટકના તુમકુરુના રહેવાસી હતા. તે છેલ્લી વાર અંજા લેક પાસે જ જોવા મળ્યો હતો


