ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પીએમ નરેન્દ્ર મોદીના આગામી પ્રવાસ પહેલા ભારતની ભવ્ય પ્રશંસા કરતા બંને દેશો વચ્ચે ‘મજબૂત ગઠબંધન’ હોવાનું જણાવ્યું છે. ભારતની 1.5 અબજની વસ્તીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ઇઝરાયલ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. જેરૂસલેમમાં ‘મેજર અમેરિકન જ્યુઈશ ઓર્ગેનાઈઝેશન’ની કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે નેતન્યાહુએ ભારતીય વડાપ્રધાનના આગામી સપ્તાહના ઇઝરાયલ પ્રવાસનો ઉલ્લેખ કર્યો અને મોટા સ્તરે ચર્ચાઓ થવાના સંકેત આપ્યા હતા.
નેતન્યાહુએ કહ્યું, ‘તમે જાણો છો કે આવતા અઠવાડિયે અહીં કોણ આવી રહ્યું છે – નરેન્દ્ર મોદી. ઇઝરાયલ અને ભારત વચ્ચે અદભૂત ગઠબંધન છે અને અમે તમામ પ્રકારના સહયોગ પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ભારત કોઈ નાનો દેશ નથી, ત્યાં 1.5 અબજ લોકો રહે છે. ઇઝરાયલ ત્યાં ખૂબ જ લોકપ્રિય છે, ખૂબ જ વધારે.’વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ જ મહિને ઇઝરાયલની મુલાકાતે જવાના છે. આ પ્રવાસ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક, સંરક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે. જોકે હજુ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવા સંકેતો છે કે દિલ્હીમાં યોજાનારી AI સમિટ બાદ પીએમ મોદી 27-28 ફેબ્રુઆરીએ ઇઝરાયલ જઈ શકે છે.
વડાપ્રધાન મોદીના ત્રીજા કાર્યકાળનો આ પ્રથમ ઇઝરાયલ પ્રવાસ છે. આ અગાઉ તેઓ 9 વર્ષ પહેલા 2017માં ઇઝરાયલ ગયા હતા. તે મુલાકાત બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોના 25 વર્ષ પૂરા થવાના પ્રસંગે હતી, જેમાં સંરક્ષણ, સાયબર સિક્યુરિટી અને કૃષિ તેમજ આતંકવાદ સામેના સહયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. હવે પીએમ મોદી ફરી એકવાર નેતન્યાહુને મળશે, જ્યાં બંને નેતાઓ વચ્ચે લાંબી ચર્ચા થશે.
પીએમ મોદી અને નેતન્યાહુ વચ્ચે ગાઢ અંગત મિત્રતા છે. આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સહયોગની સાથે પશ્ચિમ એશિયાની સુરક્ષા સ્થિતિ અને વૈશ્વિક વિકાસ પર પણ ચર્ચા થવાની શક્યતા છે. આ વર્ષની શરૂઆતમાં પણ બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી, જેમાં નેતન્યાહુએ પીએમ મોદીને ગાઝા શાંતિ યોજનાની પ્રગતિ વિશે માહિતી આપી હતી અને પીએમ મોદીએ આ વિસ્તારમાં સ્થાયી શાંતિ માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.



