ગાંધીનગર ખાતેથી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે દેશની સૌપ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત પારદર્શક, આધુનિક અને સરળ જાહેર વિતરણ વ્યવસ્થાનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે અમિત શાહે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. મોદી સરકારે યુરોપિયન યુનિયન, ઇંગ્લેન્ડ સાથે થયેલા વ્યાપારિક કરારો અને અમેરિકા સાથે કરેલી ટ્રેડ ડીલથી ખેડૂતોને નુકસાન થયું હોવા મુદ્દે ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો અમિત શાહે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર આક્ષેપ કર્યો હતો.
રાહુલ ગાંધીને નિશાન બનાવી અમિત શાહે વધુમાં કહ્યું હતું કે, હું તેમને કહેવા માગું છું કે, તમે ખેડૂતોનું કેટલું અનાજ ખરીદ્યું હતું. 10 વર્ષ યુપીએ સરકારના અને 10 વર્ષ નરેન્દ્ર મોદી સરકારના. અમે તમારા કરતા 15 ગણું વધુ અનાજ ટેકાના ભાવે વધુ ખરીદ્યું છે. તમારા (યુપીએ શાસન)ના સમયમાં ખેડૂતોનું બજેટ 26 હજાર કરોડ હતું અને નરેન્દ્ર મોદીના સમયમાં 1 લાખ 29 હજાર કરોડ કર્યું છે. તમે એકવાર ખેડૂતોનું દેવું માફ કર્યું પણ નરેન્દ્ર મોદી 10 વર્ષથી દરેક ખેડૂતના ખાતામાં વર્ષે 6000 રૂપિયા આપી લોન ન લેવી પડે એવું કામ કરે છે.
અમિત શાહે ટ્રેડ ડિલ અંગે સરકારના નિર્ણયનો બચાવ કરતા કહ્યું હતું કે, હું દેશના ખેડૂતોને કહેવા આવ્યો છું કે, રાહુલ ગાંધી ખોટું બોલે છે, ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે. યુરોપિયન યુનિયન, ઇંગ્લેન્ડ સાથે થયેલા વ્યાપારિક કરારો અને અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડિલ આ બન્ને કરારોમાં મોદીજીએ ખેડૂતોને સુરક્ષિત કર્યા છે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. આ ડેરીની ભૂમિ છે. રાહુલ ગાંધી તમે ખોટી વાતો ફેલાવો છો કે, મોદીજીએ આ બન્ને ટ્રેડ ડિલ કરી આપણી ડેરીને સમાપ્ત કરી દીધી. અમે તો ડેરી માટે રસ્તો વધારનારા છીએ. બન્ને કરારોમાં ડેરી સેક્ટરને સંપૂર્ણ સુરક્ષા આપવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. ભારતના માછીમારોની પ્રોડક્ટ અને કૃષિ ઉત્પાદન દુનિયામાં પહોંચાડવાનો રસ્તો પણ ખૂલ્યો છે. હું ફરી એકવાર ખાતરી આપવા માગું છું, તમારા હિતો સાથે નરેન્દ્ર મોદી સમાધાન કરી શકે નહીં, આ અસંભવ છે. અમિત શાહે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ટ્રેડ ડિલ મુદ્દે ચર્ચા કરવા ખુલ્લો પડકાર પણ ફેંક્યો હતો.


