અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવેલા નિવેદનોની ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર
ગાલિબાફે નિંદા કરી છે અને આક્ષેપો પણ કર્યાં છે. ડાનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે દાવાઓ કરવામાં આવ્યાં હતા
તેને ઈરાને ફગાવી દીધા છે. એટલું જ નહીં પરંતુ સાથે ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર
ગાલિબાફે અમેરિકાને ચેતવણી પણ આવી છે કે, જો ઈરાન પર સતત દબાવ ચાલુ રાખવામાં આવશે તો
તેની વૈશ્વિક શિપિંગ માટે ગંભીર અસર જોવા મળશે. એટલે કે, ઈરાન હજી પણ લડી લેવાના મૂડમાં હોય
તેવું લાગી રહ્યું છે.
સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફે લખ્યું કે, ‘ટ્રમ્પે
માત્ર એક કલાકમાં સાત દાવા કર્યાં છે, અને તે સાતેય દાવા સફેદ જૂઠ છે’. યુદ્ધ અને શાંતિની મંત્રણા
બંનેમાં અમેરિકા નાકામ રહ્યું છે, ખોટા દાવાઓ કરવાથી અમેરિકા જીતી જવાનું નથી. અમેરિકા દ્વારા
આપવામાં આવેલી ધમકીઓની ઈરાન પર કોઈ અસર થઈ રહી નથી.
અમેરિકા દ્વારા વારંવાર એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઈરાન શાંતિ માટે હવે સહમત થઈ રહ્યું છે.
એટલું જ નહીં પરંતુ તહેરાન ન્યૂક્લિયર પ્રોગ્રામને રદ્દ કરવા માટે અને હોર્મુઝ માર્ગને સંપૂર્ણ રીતે ખોલી
દેવા માટે તૈયાર થઈ ગયું છે. ઈરાને હોર્મુઝ દરિયાઈ માર્ગને ખોલી દીધો છે, પરંતુ જ્યાં સુધી શાંતિ
મંત્રણા પર સહમતી નહીં આવે ત્યાં સુધી ઈરાન પર અમેરિકન સેનાની નાકાબંધી યથાવત રહેશે.
મોહમ્મદ બાઘર ગાલિબાફે એક્સ પર પોસ્ટ કરતા અમેરિકાને આવો જવાબ આપ્યો છે. કહેવામાં આવ્યું કે
અમેરિકા દ્વારા માત્ર પોકળ દાવાઓ કરવામાં આવી રહ્યાં છે, જમીની વાસ્તવિક્તા તેની કરતા સાવ
વિપરિત છે.
ટ્રમ્પના દાવાઓ પર ઈરાનનો વળતો જવાબ
અમેરિકા દ્વારા સાત દાવાઓ કરવામાં આવ્યાં, તે દરેક દાવા ખોટા છે.
અમેરિકા આ ખોટા દાવાઓથા સહારે યુદ્ધ જીતી શક્યું નથી, અને ના તો તે શાંતિ મંત્રણા કરી શક્યું છે.
નાકાબંધી ચાલુ રહેશે અને હોર્મુઝ જળ માર્ગને ખોલવામાં આવશે નહીં.
હોર્મુઝ સ્ટ્રેટથી પસાર થતી વખતે નિર્ધારિત માર્ગનું પાલન કરવાનું રહેશે અને તેમાં ઈરાનની મંજૂરી
લેવી અનિવાર્ય રહેશે.
હોર્મુઝ જળ માર્ગ ખુલ્લો રહેશે કે બંધ, તેના પર નિયંત્રણ કરવાના નિયમો શું હશે. તેનો નિર્ણય સોશિયલ
મીડિયા પર નહીં, પણ જમીની વાસ્તવિકતાઓ પર આધારિત હશે.
મીડિયા યુદ્ધ અને જાહેર અભિપ્રાયને પોતાની રીતે ઢાળવો તે યુદ્ધનો એક મહત્વપૂર્ણ ભાગ છે; જોકે,
ઈરાની રાષ્ટ્ર આવી યુક્તિઓથી પ્રભાવિત થશે નહીં.





