પંજાબના પટિયાલામાં સોમવારે મોડી રાત્રે શંભૂ-અંબાલા રેલ ટ્રેક પાસે થયેલા એક શક્તિશાળી ધડાકાએ સુરક્ષા એજન્સીઓને દોડતી કરી દીધી છે. રાત્રે અંદાજે 10 વાગ્યે માલગાડીઓ માટેના અનામત ટ્રેક પાસે આ વિસ્ફોટ થયો હતો, જેમાં રેલવે ટ્રેકને નુકસાન પહોંચ્યું છે. ઘટનાની ગંભીરતા જોતા પટિયાલાના એસએસપી વરૂણ શર્મા સહિતના ઉચ્ચ અધિકારીઓ, જીઆરપી અને આરપીએફની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ એક ઓછી તીવ્રતાનો બ્લાસ્ટ હતો, જેની ફોરેન્સિક ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, જે જગ્યાએ ધડાકો થયો હતો તેની નજીકથી જ એક અજ્ઞાત વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. જોકે, આ વ્યક્તિનું મોત ધડાકાને કારણે થયું છે કે અન્ય કોઈ કારણોસર, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ અત્યારે આ મૃતદેહ અને ધડાકા વચ્ચેના સંબંધની તપાસ કરી રહી છે. અગાઉ જાન્યુઆરીમાં પણ ફતેહગઢ સાહિબ જિલ્લાના સરહિંદમાં ફ્રેટ કોરિડોરના ટ્રેક પર આવો જ એક વિસ્ફોટ થયો હતો, જેમાં ટ્રેનનું એન્જિન ક્ષતિગ્રસ્ત થયું હતું. રેલવે ટ્રેક પર વારંવાર થઈ રહેલા આવા ધડાકાઓને કારણે સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થયા છે.

