ભાવનગર,
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઔદ્યોગિક ક્ષેત્રે પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે મધુ સિલિકા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વરતેજ સ્થિત પ્લાન્ટ ખાતે એક ભવ્ય ‘ગ્રીન પ્લાન્ટેશન પ્રોગ્રામ’ (વૃક્ષારોપણ કાર્યક્રમ) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉદ્યોગો અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવાના સંકલ્પને દોહરાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) ના રિજનલ ઓફિસર મનીષભાઈ બારડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે આવેલા બોર્ડના અન્ય ઉચ્ચ અધિકારીઓએ મધુ સિલિકાના વરતેજ પ્લાન્ટ પરિસરમાં ઉત્સાહભેર વૃક્ષારોપણ કર્યું હતું. આ સાથે જ તેમણે ઉપસ્થિત સૌ કર્મચારીઓ અને અધિકારીઓને વર્તમાન સમયમાં પર્યાવરણની જાળવણીનું મહત્ત્વ સમજાવી, પ્રદૂષણ નિયંત્રણ અને ગ્રીન કવર વધારવા અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ ગ્રીન પ્લાન્ટેશન ડ્રાઇવમાં મધુ સિલિકા કંપનીના સિનિયર અધિકારીઓ સમીરભાઈ મહેતા અને શૈલેષભાઈ મહેતા ઉપરાંત અધિકારી બ્રિજેશભાઈ ત્રિવેદી પણ ખાસ હાજર રહ્યા હતા. કંપનીના એચ.આર. (HR) વિભાગ તેમજ પ્રોડક્શન વિભાગના તમામ સ્ટાફ મેમ્બર્સે મોટી સંખ્યામાં જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મધુ સિલિકા પરિવાર દ્વારા આગામી દિવસોમાં પણ પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.





