ભાવનગરઃ
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ ૬ જૂન, ૨૦૨૬ના રોજ ધોળા જંક્શન સ્ટેશનથી વાંસજાળિયા જંક્શન સ્ટેશન સુધી વિસ્તૃત વિન્ડો ટ્રેલિંગ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે ધોળા, જેતપુર, જેતલસર, ઉપલેટા, ભાયાવદર તથા વાંસજાળિયા સ્ટેશનોનું સંરક્ષા, સંચાલન અને યાત્રી સુવિધાઓના દૃષ્ટિકોણથી સઘન મૂલ્યાંકન કર્યું હતું.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપી કે નિરીક્ષણ દરમિયાન દિનેશ વર્માએ આ સેક્શનમાં ચાલી રહેલા વિકાસકાર્યોની વિશેષ સમીક્ષા કરી હતી. તેમણે નિર્માણકાર્યોની ગુણવત્તા, પાટા માળખું (ટ્રેક), સિગ્નલ અને દૂરસંચાર વ્યવસ્થાઓનું સૂક્ષ્મ
નિરીક્ષણ કરીને સંબંધિત અધિકારીઓને સમયબદ્ધ કામગીરી કરવા સૂચનાઓ આપી હતી.
સ્ટેશન પરિસરની સ્વચ્છતા, પીવાના પાણીની વ્યવસ્થા અને યાત્રી સુરક્ષા વ્યવસ્થાઓનું અવલોકન કરી યાત્રીઓને વધુ સુવિધાજનક સેવાઓ આપવા માર્ગદર્શન અપાયું હતું.
દિનેશ વર્માએ જણાવ્યું કે રેલવે સંચાલનમાં સંરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તેનું શત-પ્રતિશત પાલન કરવું દરેક કર્મચારીની સામૂહિક જવાબદારી છે. આ નિરીક્ષણ દરમિયાન મંડળના વિવિધ વિભાગોના શાખા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


