પાકિસ્તાન હસ્તકનું કાશ્મીર ફરી એકવાર અશાંતિ અને હિંસાની ઝપેટમાં આવી ગયું છે. અહીં સક્રિય નાગરિક સંગઠન ‘જોઇન્ટ અવામી એક્શન કમિટી’ પર પ્રતિબંધ મુકાયા બાદ વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા છે. રાવલકોટમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં 11 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે, જ્યારે 70થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ હિંસા એવા સમયે થઈ છે જ્યારે સમગ્ર વિસ્તારમાં 9 જૂન એટલે કે આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
પરિસ્થિતિ ત્યારે વધુ બગડી જ્યારે JAACના સમર્થકો એક હોસ્પિટલના પીએમ રૂમની બહાર એકઠા થયા. અહીં સંગઠનના એક કાર્યકરનો મૃતદેહ રાખવામાં આવ્યો હતો, જેનું અગાઉ થયેલા ગોળીબારની ઘટનામાં મોત થયું હતું. મોટી સંખ્યામાં એકઠા થયેલા પ્રદર્શનકારીઓને હટાવવા માટે પોલીસ અને અર્ધલશ્કરી દળોએ કાર્યવાહી કરી, ત્યારબાદ સ્થિતિ હિંસક બની ગઈ.
પીઓકેમાં તાજેતરના આંદોલનનું સૌથી મોટું કારણ ત્યાંની વિધાનસભામાં 12 અનામત બેઠકોને લઈને લેવાયેલો નિર્ણય છે. 45 સભ્યોની વિધાનસભામાં આ બેઠકો એવા શરણાર્થીઓ માટે અનામત રાખવામાં આવી છે જેઓ કાશ્મીર સાથે જોડાયેલા હોવાનો દાવો કરે છે, પરંતુ હાલમાં પાકિસ્તાનના અન્ય ભાગોમાં રહે છે.
જેએએસી અને અન્ય સ્થાનિક સંગઠનોનો આક્ષેપ છે કે આ વ્યવસ્થાથી સ્થાનિક લોકોનું રાજકીય પ્રતિનિધિત્વ નબળું પડશે અને બહારનો પ્રભાવ વધશે. તેમનું કહેવું છે કે આ વિસ્તારના ભવિષ્ય સાથે જોડાયેલા નિર્ણયો પર માત્ર ત્યાં રહેતા લોકોનો જ અધિકાર હોવો જોઈએ. આ જ માંગને લઈને સંગઠન લાંબા સમયથી આંદોલન ચલાવી રહ્યું છે.
9 જૂનના એટલે કે મંગળવારનું સૂચિત બંધ માત્ર અનામત બેઠકોના વિરોધ પૂરતું મર્યાદિત ન હતું. પ્રદર્શનકારીઓ JAAC પર લાદવામાં આવેલા પ્રતિબંધ, ઇન્ટરનેટ બેન અને સંગઠનના એક નેતાની હત્યા સામે પણ વિરોધ નોંધાવવા માંગતા હતા.
આ સમગ્ર ઘટનાક્રમ પર પાકિસ્તાનના માનવાધિકાર આયોગ એ પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આયોગે જણાવ્યું કે, તેઓ રાવલકોટમાં થયેલી હિંસા અને જેએએસી પર લાદવામાં આવેલા પ્રતિબંધથી અત્યંત ચિંતિત છે.
દરમિયાન જેએએસીના નેતાઓએ સ્પષ્ટ કરી દીધું છે કે, પ્રતિબંધ હોવા છતાં તેમનું આંદોલન ચાલુ રહેશે. આ વિસ્તારમાં 27 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં વહીવટીતંત્રે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દીધી છે.






