શાશ્વત તીર્થ પાલીતાણાના તળેટી રોડ પર આવેલ નંદપ્રભા પ્રાસાદની નૂતન ધર્મશાળાની વિધિનો મંગલમય પ્રારંભ થયો છે. મુનિ યશોવર્ધનજી મહારાજ, મુનિ આત્મરતી વિજયજી મહારાજ, મુનિ હિતરતી વિજયજી મહારાજ આદિ મુનિ ભગવંતો તેમજ ચતુર્વિધ સંઘની હાજરીમાં આ ધાર્મિક મહોત્સવ યોજાયો હતો. ૧૭ જૂનના રોજ નંદપ્રભા પરિવારના હેમુભાઈ, પરેશભાઈ અને કલ્યાણ મિત્ર દિવ્યકાંતભાઈની ઉપસ્થિતિમાં વિધિકાર નિખિલભાઈ દ્વારા સ્નાત્રપૂજા, પાટલાપૂજન અને શાંતિધારા અભિષેક જેવા મંગલ કાર્યો કૌશિકભાઈ બારોટના સંગીત સાથે સંપન્ન થયા હતા.
૧૮ જૂનના રોજ મુનિ ભગવંતોએ આ નૂતન સંકુલમાં વધુમાં વધુ આરાધના થાય તેવા આશીર્વાદ આપ્યા હતા. પરેશભાઈએ જણાવ્યું કે, શત્રુંજય ડુંગર પરના મૂળ નાયક આદેશ્વર દાદાના દેરાસરની ૫૦૦મી સાલગીરી પહેલાં અશોકભાઈ સોમપુરાની ટીમ દ્વારા આ નૂતન સંકુલનું કાર્ય પૂર્ણ થશે.
આ નવનિર્માણ સંકુલમાં ગુરુભગવંતોની સ્થિરતા માટે ઉત્તમ સગવડો, સામાયિક-પૌષધ માટે અલગ વ્યવસ્થા તેમજ પ્રવચન અને સ્વાધ્યાય માટે વિશિષ્ટ હોલ બનાવવામાં આવશે.નંદપ્રભા પરિવારે સૌને રૂજુવાલિકા તીર્થ પધારવા આમંત્રણ આપ્યું હતું. શુભ મુહૂર્તે પરિવાર અને સ્ટાફના સભ્યોએ ધાતુથી ટાંકણા મારીને મંગલ વિધિનો શુભારંભ કર્યો હતો.




