મુસ્લીમ બિરાદરોના પવિત્ર મહોરમ તહેવાર નીમીત્તે કરબલાના મહાન શહીદ હઝરત ઈમામહુસૈન રદી.અલ્લાહો આલા અનહો અને જાનિસાર સાથીદારોની કરબલાના મેદાનમાં થયેલી સહાદતની યાદમાં તા. ૨૫ અને ૨૬ બે દિવસ મનાવવામાં આવશે.
દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગર શહેરના જુદા જુદા મુસ્લીમ વિસ્તારોમાંથી ૩૪ જેટલા તેમજ જીલ્લા ભરમાથી કુલ ૧૨૮ જેટલા કલાત્મક અને આકર્ષક તાજીયા જુલુસ નિકળશે જેમાં ખાસ કરીને તારીખ ૨૫ને ગુરૂવારે મોડી સાંજે તમામ તાજીયા પડમાં આવશે અને તેના રાબેતા મુજબના રુટ ઉપર ગોઠવવામાં આવશે જ્યારે મોડી રાત્રે તમામ તાજીયા તેના રાબેતા રૂટ ઉપર સરઘસ આકારે આખી રાત ફરશે ત્યારબાદ તાજીયા તેના તખ્ત ઉપર ગોઠવશે તેમજ ૨૬ને શુક્રવારે આશુરાના દિવસે સાંજે ફરીવાર તમામ તાજીયા તેના રાબેતા રૂટ ઉપર સરઘસ આકારે ફરશે અને રાત્રે ૧૦ કલાકે તાજીયા ટાઢા કરાશે. ભાવનગર નજીકના ઘોઘા બંદરે તમામ તાજીયા ટાઢા કરવામાં આંવશે.
આ વર્ષે ભાવનગર શહેરમાંથી ૩૫ તેજ છેલ્લામાં જુદા જુદા તાલુકાઓ જેમાં ખાસ કરીને ઘોઘા-૧૩, વરતેજ-૪, વેળાવદર-૧, શિહોર-૫, વલ્લભીપુર-૩, ઉમરાળા-૪, પાલીતાણા ટાઉન-૩, પાલીતાણા રૂરલ-૩, જેસર-૧, ગારીયાધાર-૩, તળાજા-૭, મહુવા ટાઉન-૩૧, મહુવા રૂરલ-૫, ખુટવડા-૯, બગદાણા-૧ સહિતના કુલ ૧૨૮ તાજીયા જુલુસ નિકળશે.
ભાવનગર શહેર અને જીલ્લામાં પવિત્ર મહોરમનું પર્વ કોમી એક્તા/ભાઈચારા એખલાસમાં માહોલમાં સુલેહ શાંતિથી સંપન્ન થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ તાજીયા જુલુસ દરમ્યાન તમામ પ્રાથમીક સુવિધાઓ સરકાર દ્વારા પુરી પાડવામાં આવે તે માટે આ અગાઉ ભાવનગર જીલ્લા અધિક કલેકટર એન.ડી. ગોવાણી/એસ.ડી.એમ, મામલતદાર તેમજ સંબંધીત વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કસ્બા અંજુમને ઈસ્લામના પ્રમુખ અને ભાવનગર સેન્ટ્રલ તાજીયા કમીટીના પ્રમુખ તેમજ આગેવાનો સમસ્ત મુસ્લીમ સમાજના આગેવાનો અને તાજીયા બનાવતા કમીટીના પ્રમુખો સહિતના આગેવાનોની બેઠક ભાવનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી. જેમાં જરૂરી સુચનો કરવામાં આવ્યા હતા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાયદો વ્યવસ્થાની જાળવણી અને પોલીસ બંદોબસ્ત
ભાવનગરમાં મોહરમ પર્વ દરમિયાન એસ.પી., એ.એસ.પી.,/ડી.વાય.એસ.પી.-૭, પી.આઈ./પી.એસ.આઈ.-૫૧, પોલીસ-૭૮૭, હોમગાર્ડ-૫૦૦, જી.આર.ડી./ટી.આર.બી.-૪૫૦, સહીતનો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે આ ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા સોશ્યલ મીડીયા માં કોઈ ઉશ્કેરીજનક ઘટના ન ઘટે તે માટે મોનીટરીંગ સેલ દ્વારા સતત ચાપતી નજર રાખવામાં આવશે. તેમજ વોચટાવર, વોકીટોકી, દુરબીન, જરૂરી હથિયાર, બોડીર્વો કેમેરા, લાઠી, હેલ્મેટથી પોલીસ બંદોબસ્ત ગોઠવાશે તેમજ ટ્રાફીક વ્યવસ્થા જાળવવા તાજીયા રૂટના અમુક રસ્તાઓ વન-વે કરવામાં આવશે.






