ભાવનગર જિલ્લાના ઉમરાળામાં ધોળનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં મોડી રાત્રે જુગાર રમી રહેલા પાંચ શખ્સોને ઉમરાળા પોલીસે રંગેહાથ ઝડપી લીધા છે. પોલીસે ઘટના સ્થળેથી જુગારના પટની રકમ અને અંગઝડતી સહિત કુલ રૂ ૨૩,૫૪૦ની રોકડ રકમ સહીત મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવ અંગે પોલીસ મથકેથી જાણવા મળ્યા મુજબ ઉમરાળા પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મોડી રાત્રે ૨ વાગ્યે હનુમાન મઢી પાસે પહોંચતા તેઓને બાતમી મળી હતી કે, ધોળનાથ મંદિર નજીક ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ગંજીપત્તા વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે પંચોને સાથે રાખી રાત્રે ૨:૧૫ વાગ્યે દરોડો પાડ્યો હતો.જ્યાં કેટલાક શખ્સો ગોળ કુંડાળું વાળીને તીનપત્તીનો જુગાર રમતા હતા તેને પોલીસે સ્થળ પર ઘેરાબંધી કરીને ઝડપી લીધા હતા અને વારાફરથી નામ પુછાતા ભરતભાઈ મનસુખભાઈ સિદ્ધપુરા, કિશોરભાઈ મનજીભાઈ ચૌહાણ, વિવેકભાઈ બળવંતગીરી ગોસાઈ, કુલદીપસિંહ કિરીટસિંહ ચુડાસમા તથા વિશ્વરાજસિંહ વીરભદ્રસિંહ વાળા હોવાનું જણાવેલ પોલીસે પાંચેય શખ્સો તેમજ જુગારના પટમાંથી રૂ.૨૩,૫૪૦ની રોકડ અને ગંજીપત્તાના ૫૨ પાના જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી અટકાયત કરવામાં આવેલ.





