કેન્દ્ર સરકારે ઇન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ એલપીજીનો સપ્લાય પશ્ચિમ એશિયાના સંકટ પૂર્વેના સ્તરે પુનઃસ્થાપિત કર્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયે સેક્ટર-સ્પેસિફિક એલોકેશન કેપ્સ પણ હટાવી દીધા છે. પ્રોપેન અને બ્યુટેન પરના પ્રતિબંધો પણ હળવા કરાયા છે. જોકે, પીએનજી તરફ સ્થળાંતરની ઝુંબેશ ચાલુ રહેશે.પશ્ચિમ એશિયાના સંકટના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી દેશના ઔદ્યોગિક સેક્ટરમાં જે દબાણ જોવા મળી રહ્યું હતું, તેમાં હવે કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. સરકારે ગુરુવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને ઇન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસના સપ્લાયને કટોકટી પહેલાના સ્તરે પુનઃસ્થાપિત કરી દીધો છે. આ સાથે જ સરકારે અગાઉ લાદવામાં આવેલા તમામ સેક્ટર-સ્પેસિફિક એલોકેશન કેપ્સ પણ હટાવી લીધા છે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે કહ્યું છે કે, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ LPG ગ્રાહકોને મોટી રાહત આપતા, સરકારે નોન-ડોમેસ્ટિક પેક્ડ LPGની સપ્લાય પરના તમામ સેક્ટરલ પ્રતિબંધો દૂર કર્યા છે અને પશ્ચિમ એશિયાના સંકટ પહેલા પ્રવર્તતા સ્તરે સપ્લાય પુનઃસ્થાપિત કર્યો છે.
નવા નિર્દેશો અનુસાર, જે મોટા ગ્રાહકો છે, તેમને કટોકટી પૂર્વેના તેમના કુલ વપરાશના 50% જરૂરિયાત જેટલો ગેસ ફાળવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કટોકટીની શરૂઆતમાં આ સપ્લાય સંપૂર્ણપણે સ્થગિત કરી દેવામાં આવ્યો હતો.
માર્ચ મહિનાની શરૂઆતમાં જ્યારે કટોકટી ચરમસીમા પર હતી, ત્યારે સરકારે કોમર્શિયલ એલપીજીના સપ્લાય પર કામચલાઉ પ્રતિબંધો મૂક્યા હતા. ત્યારબાદ સ્થિતિ સુધરતા અલગ-અલગ તબક્કામાં સપ્લાય વધારીને 70% સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પાઇપ્ડ નેચરલ ગેસ તરફ ઝડપથી વળવા માટે 10%ની શરતી ફાળવણી પણ સામેલ હતી.
સરકારે માત્ર એલપીજી સપ્લાય જ નથી વધાર્યો, પરંતુ અન્ય ઔદ્યોગિક કેમિકલ્સના નિયમોમાં પણ ઢીલ આપી છે. અગાઉ સરકારે આદેશ આપ્યો હતો કે પ્રોપેન અને બ્યુટેનનો ઉપયોગ માત્ર સ્થાનિક એલપીજીના ઉત્પાદન માટે જ કરવો. હવે આ કડક આદેશને પણ હળવો કરવામાં આવ્યો છે.ભવિષ્યમાં સપ્લાયનું યોગ્ય સંચાલન થઈ શકે તે માટે પેટ્રોલિયમ મંત્રાલયે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ ગ્રાહકોનો ડેટા સતત મેઇન્ટેન રાખવા માટે પણ સૂચના આપી છે.સરકારે ભલે એલપીજી સપ્લાય સામાન્ય કરી દીધો હોય, પરંતુ દેશમાં પાઇપ્ડ નેચરલ ગેસનો વ્યાપ વધારવાનો તેનો સંકલ્પ યથાવત છે. કટોકટી સમયે એલપીજી પરનું દબાણ ઘટાડવા માટે જે ગ્રાહકોને પીએનજી પર શિફ્ટ કરવામાં આવ્યા હતા, તેઓ આગામી સમયમાં પણ પીએનજી પર જ રહેશે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, જે કોમર્શિયલ અને બલ્ક ગ્રાહકો પાસે પીએનજી નેટવર્કની સુવિધા ઉપલબ્ધ છે, અથવા જેઓ શિફ્ટ થવાની પ્રક્રિયામાં છે, તેમને સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન સંસ્થાઓના સંકલન સાથે ક્રમશઃ પીએનજી તરફ વાળવામાં આવશે.




