આગામી જાન્યુઆરી-૨૦૨૭માં બગદાણા ખાતે યોજાનારી સદ્દગુરુ દેવ બજરંગદાસ બાપાની ૫૦મી મહાપરીનિર્વાણ પુણ્યતિથિ (અર્ધશતાબ્દી મહોત્સવ)ને ભવ્ય અને દિવ્ય બનાવવા માટે ગુરુઆશ્રમ બગદાણા ખાતે સ્વયંસેવકોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાંચ દિવસીય મહોત્સવની પૂર્વ તૈયારીઓ, આયોજન અને વિવિધ જવાબદારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના ધામ સમા ગુરુઆશ્રમમાં ૨૫ જાન્યુઆરી ૨૦૨૭ (પોષ વદ ચોથ, શનિવાર)ના રોજ યોજાનારા આ મહોત્સવ અંતર્ગત પાંચ દિવસીય ૧૦૮ કુંડી અતિ મહાવિષ્ણુયાગનું વિશેષ આયોજન કરાયું છે. આ મહાયજ્ઞને સફળ બનાવવા માટે સેવા વ્યવસ્થા, યજ્ઞ આયોજન અને શ્રદ્ધાળુઓની સુવિધા અંગે સ્વયંસેવકોને માર્ગદર્શન અપાયું હતું. આશ્રમમાં છેલ્લા પાંચ દાયકાથી સક્રિય ૪૬૪ ભાઈઓના અને ૮૮૦ બહેનોના સેવા મંડળોને વિવિધ વિભાગોની જવાબદારીઓ સોંપવામાં આવી છે.
બેઠકમાં યોગેશભાઈ સાગરે મહોત્સવની વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે ટ્રસ્ટી ધીરુભાઈ બાબરિયા, રણજીતસિંહ ગોહિલ, વિનોદભાઈ ગુજરાતી અને નિલેશભાઈ ડોડિયા ઉપસ્થિત રહ્યા હતા. લોકસાહિત્યકાર મેરાણભાઈ ગઢવી અને ગાયક બીપીનભાઈ સઠિયાએ બાપાના મહિમાનું ગાન કરીને સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું.






