મુંબઈમાં ચાલી રહેલા ભારે વરસાદથી તબાહી મચી ગઈ છે. રવિવારે ભારે વરસાદ વચ્ચે માનખુર્દ
વિસ્તારમાં ચાલનો એક ભાગ તૂટી પડતાં છ લોકો માર્યા ગયા હતા અને એક ઘાયલ થયો હતો. ઝાડ
પડવાની ઘટનામાં વધુ એક વ્યક્તિનું મોત થયું હતું. વધુમાં, એક ઇમારતની ગ્રીલ ફૂટપાથ પર પડતાં
વધુ એક વ્યક્તિનું મોત થયું હતું.
રવિવારે સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં, દક્ષિણ મુંબઈમાં 51 મીમી વરસાદ નોંધાયો હતો,
જ્યારે પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં અનુક્રમે 72 મીમી અને 71 મીમી વરસાદ નોંધાયો હતો.
મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે સાંજ પછી વરસાદ વધુ તીવ્ર બન્યો હતો, જેમાં
અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. પ્રતિકૂળ હવામાનને કારણે છત્રપતિ શિવાજી મહારાજ
આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ફ્લાઇટ કામગીરી પણ એક કલાક માટે સ્થગિત કરવામાં આવી હતી.
રવિવારે રાત્રે ભારે વરસાદ વચ્ચે મુંબઈના માનખુર્દ વિસ્તારમાં ત્રણ માળની ચાલ ધરાશાયી થઈ હતી.
છ લોકો માર્યા ગયા હતા અને એક ઘાયલ થયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કાટમાળમાં વધુ
એક વ્યક્તિ ફસાયેલી હોવાની આશંકા છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ સહિત અનેક એજન્સીઓની
ટીમો દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું
હતું કે ચાર મહિલાઓ અને એક પુરુષને શતાબ્દી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત
જાહેર કરવામાં આવ્યા હતા. રાજાવાડી હોસ્પિટલમાં અન્ય એક પુરુષને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માત રાત્રે 8:30 વાગ્યાની આસપાસ જનતા નગરના ચાલ નંબર
5 માં, મંડલા વિસ્તારમાં હનુમાન મંદિર પાછળ બન્યો હતો.
નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહાયક કમિશનર સહદેવ યેદવેએ જણાવ્યું હતું કે, “રવિવારે સાંજે
લગભગ 6:30 વાગ્યે, દિવાલ સાથે જોડાયેલ ગ્રીલ ફૂટપાથ પર પડી ગઈ હતી. ત્યાંથી પસાર થતા એક
યુવાનને તેની ટક્કર લાગી અને તેનું મૃત્યુ થયું. 2025 માં ઇમારતના સ્ટ્રક્ચરલ ઓડિટ માટે નોટિસ જારી
કરવામાં આવી હતી, પરંતુ માલિકે તેને અવગણી હતી.” એક અઠવાડિયાની અંદર ત્રીજી મોટી વૃક્ષ
પડવાની ઘટનામાં, રવિવારે કુર્લા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દુકાન પર ઝાડ પડતાં 63 વર્ષીય
યુનુસ કુંડાવાલાનું મૃત્યુ થયું હતું. મ્યુનિસિપલ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માત બપોરે 12:40
વાગ્યાની આસપાસ કુર્લા પશ્ચિમના નૌપાડા વિસ્તારમાં હિન્દી BMC સ્કૂલ નજીક થયો હતો. તેને
કાટમાળમાંથી બહાર કાઢીને ફૌઝિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર
કર્યો.
શનિવારે, ગોરેગાંવ પૂર્વના આરે કોલોની વિસ્તારમાં મોટરસાઇકલ ચલાવતા 18 વર્ષીય યુવકનું ઝાડની
ડાળી પડવાથી મોત થયું હતું. આ પહેલા, 30 જૂનના રોજ, ચેમ્બુરમાં ચાલતી સ્કૂલ બસ પર ઝાડ
પડવાથી 11 વર્ષીય વિદ્યાર્થીનું મોત થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
મુંબઈમાં લોકલ ટ્રેનવ્યવહાર પણ ખોરવાયો

મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન સેવાઓ પણ વરસાદના કારણે ધીમી પડી ગઈ છે. જોકે
પ્રશાસન દ્વારા શાળા અને કોલેજમાં જાહેર કરવામાં આવેલી રજાને પગલે મુંબઈગરાઓએ ઘરે જ રહેવાનું
મુનાસિબ માન્યું હતું.
પશ્ચિમ રેલવે પર વસઈ અને નાલાસોપારા રેલવે સ્ટેશનો પર ટ્રેકના પાટા પાણીમાં ગરકાવ થઈ જતાં
પશ્ચિમ રેલવેની સેવાઓ અડધો કલાક જેટલી મોડી ચાલી રહી છે.જ્યારે મધ્ય રેલવે પર મેઈન લાઈન
પર લોકલ ટ્રેનો અડધો કલાક જેટલી મોડી દોડી રહી છે. કલ્યાણ સ્ટેશનથી છત્રપતિ શિવાજી મહારાજ
ટર્મિનસ તરફ જતી ટ્રેનો વિલંબથી દોડી રહી છે.
સાત જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી અતિવૃષ્ટિની ચેતવણીને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાં
રૂપે પુણે, થાણે, રાયગઢ સહિત રાજ્યના સાત મુખ્ય જિલ્લાઓમાં આજે તમામ શાળાઓ અને કોલેજોમાં
રજા જાહેર કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા તમામ નાગરિકોને હવામાન વિભાગની અને પ્રશાસનની
ઑફિશિયલ અપડેટ્સ જોયા બાદ જ ઘરની બહાર નીકળવા અને વહીવટીતંત્રને સહકાર આપવા અપીલ
કરવામાં આવી છે.
મુંબઈ યુનિવર્સિટીની પરીક્ષાઓ સ્થગિત
મુશળધાર વરસાદ અને પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓને પડનારી મુશ્કેલીઓ અને તેમની
સુરક્ષાને પ્રાથમિકતા આપીને મુંબઈ યુનિવર્સિટીએ મોટો નિર્ણય લીધો છે. યુનિવર્સિટી દ્વારા આજે એટલે કે
છઠ્ઠી જુલાઈના રોજ યોજાનારી મુંબઈ યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ પોસ્ટપોન કરવામાં આવી છે.
પરીક્ષા અને મૂલ્યાંકન મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ સ્થગિત રાખવામાં આવેલી પરીક્ષાઓનું
નવું અને સુધારેલું ટાઈમટેબલ ટૂંક સમયમાં જ મુંબઈ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ પર જાહેર
કરવામાં આવશે.
બંગાળની ખાડીમાં લૉ પ્રેશર ઝોન સર્જાયું
હવામાન વિભાગએ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે આગામી 24 કલાકમાં દેશના 16
રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ઓડિશા, પશ્ચિમ બંગાળ, ગુજરાત,
મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં મૂશળધાર વરસાદની સંભાવના છે. મુંબઈમાં ભારે વરસાદને પગલે
શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે. આગામી 3 થી 4 દિવસમાં ચોમાસું ગુજરાત અને રાજસ્થાનના
બાકીના ભાગોને આવરી લેશે. દિલ્હી, યુપી અને બિહારમાં પણ 50 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવા
સાથે વરસાદની આગાહી છે, જેનાથી લોકોને બફારાથી રાહત મળશે. દરિયામાં કરંટ હોવાથી માછીમારોને
ઊંડા દરિયામાં ન જવાની સલાહ અપાઈ છે.






