ભાવનગર,તા.૬
એક દેશમેં દો વિધાન, દો નિશાન, દો પ્રધાન નહીં ચલેગાના આર્શદ્રષ્ટા અને ૩૭૦ હટાવવાના સ્વપ્નદ્રષ્ટા એવા ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી ૨૩ જૂન ૧૯૫૩ ના રોજ નિર્વાણ પામ્યા હતાં, તેમજ ૬ જુલાઈ ૧૯૦૧ મા અવતરણ પામેલ. પ્રદેશ ભાજપના માર્ગદર્શન અને અધ્યક્ષ કુમારભાઈ શાહની અધ્યક્ષતામાં ભાવનગર શહેર ભાજપ દ્વારા ડા. શ્યામાપ્રસાદજીના સ્મરણાર્થે ૨૩ જૂનથી ૬ જુલાઈ સુધી સેવાકાર્યો તેમજ સંગઠનને શક્તિશાળી બનાવવાના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, ત્યારે શહેર ભાજપ કાર્યાલય, પંડિત દીનદયાળજી ભવનના વિશાળ હોલમાં ‘કાર્યકર્તા સંમેલન’ યોજવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ સાંસદ અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ એવા રાજુભાઈ રાણા તેમજ કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા તેમજ બાડાના પૂર્વ ચેરમેન અને પૂર્વ પ્રમુખ એવા અમોહભાઇ શાહે પોતાની આગવી શૈલીમાં ડા. શ્યામપ્રસાદજીના જીવન કવન વિશે કાર્યકર્તાઓને માર્ગદર્શિત કર્યા હતાં. આ કાર્યકર્તા સંમેલનમાં મેયર ઉષાબેન સહીત મનપાના પદાધિકારીઓ, પૂર્વ અધ્યક્ષો સહીત પૂર્વ અને વર્તમાન સંગઠનના હોદ્દેદારો, વરિષ્ટ આગેવાનો, નગરસેવકો, તમામ વોર્ડ સંગઠનો, તમામ સેલ, મોરચા અને સમિતિઓના હોદ્દેદારો સહીત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ ડા. શ્યામપ્રસાદજીનું જીવન કવન શ્રવણ કર્યું હતું.




