ભાવનગર જિલ્લાના ઘોઘા પંથકમાં સોમવારે કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અહીં ગણતરીના કલાકોમાં જ આશરે ૬ ઇંચ જેટલો ધોધમાર વરસાદ તૂટી પડતાં સમગ્ર પંથકમાં જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે અને ભારે નુકસાન થવા પામ્યું છે. આ અતિવૃષ્ટિના કારણે ઘોઘા તાલુકાના ઓદરકા ગામની સીમમાં એક મોટીહાડમારી સર્જાઈ છે, જ્યાં પાણીના પ્રચંડ પ્રવાહમાં ૪૦ વર્ષ જૂનો પુલ પત્તાના મહેલની જેમ ધોવાઈ ગયો છે.
આ પુલ ધરાશાયી થવાના કારણે ઓદરકા ગામની આશરે ૧૨૦૦ વીઘા ખેતીવાડીનો વિસ્તાર સંપૂર્ણપણે અલગ-થલગ પડી ગયો છે. ખેતરોમાં કામ કરી રહેલા ૧૦૦ જેટલા સ્થાનિક ખેડૂતો અને પરપ્રાંતીય મજૂરો પુલ તૂટવાને લીધે ત્યાં જ ફસાઈ ગયા હતા. હાલ ખેતીની મુખ્ય મોસમ ચાલી રહી હોવાથી આ આકસ્મિક કટોકટીને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
કટોકટીની આ સ્થિતિને પગલે ગ્રામજનોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ખેતીના પાકને બચાવવા માટે ગ્રામજનોએ જિલ્લા વહીવટીતંત્ર સમક્ષ તાત્કાલિક અસરથી યુદ્ધના ધોરણે વૈકલ્પિક માર્ગ અને નવા નાળાનું નિર્માણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠાવી છે.




