અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રા યોજાશે. રથયાત્રાના કાઉન્ટડાઉન વચ્ચે આજે જગન્નાથ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો અત્યંત ભક્તિભાવપૂર્વક શરૂ થઈ ગયા છે. નેત્રોત્સવ વિધિને લઈને વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે.
આજના ધાર્મિક મહોત્સવની શરૂઆત વહેલી સવારે 6 વાગ્યે થઈ હતી, જેમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીને ગર્ભગૃહમાં આવેલી રત્નવેદી પર શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સવારે 7:30 વાગ્યાથી નેત્રોત્સવ પૂજન વિધિનો પ્રારંભ કરાયો હતો. નેત્રોત્સવ વિધિ પૂર્ણ થયા બાદ જગન્નાથ મંદિરના મુખ્ય શિખર પર પરંપરાગત રીતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી હતી.આરતી બાદ મંદિરમાં પધારેલા દેશભરના સાધુ-સંતો માટે ખાસ ભંડારા (મહાપ્રસાદ) અને વસ્ત્રદાન તેમજ દાન-દક્ષિણા આપવાનો સમારંભ યોજાયો હતો.






