ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી ગણાતી ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા ભાવનગર શહેરમાં યોજાવા જઈ રહી છે. આ ભવ્ય નગરયાત્રા સુભાષનગર ખાતે આવેલા પ્રભુ જગન્નાથજીના મંદિરેથી સવારે ૮:૦૦ કલાકે પ્રસ્થાન કરશે અને શહેરના ૧૭.૫ કિલોમીટર લાંબા રૂટ પર પરિભ્રમણ કરશે. રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ત્રિસ્તરીય લોખંડી બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે

આ રથયાત્રાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે ૫,૦૦૦થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવનાર છે. આ સમગ્ર બંદોબસ્તની રૂપરેખા અને સુરક્ષા વ્યવસ્થા અંગે તમામ પોલીસ કર્મચારીઓને ઝીણવટભરી માહિતી આપવા માટે અક્ષરવાડી સ્વામિનારાયણ મંદિર ખાતે એક વિશેષ બ્રિફિંગ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક (એસ.પી.) સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રથયાત્રા દરમિયાન કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.





