આગામી ગુરુવારે અષાઢી બીજના પાવન પર્વે ભાવનગરના રાજમાર્ગો પર નીકળનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રામાં પરંપરાગત અખાડાઓ વિશેષ આકર્ષણ જમાવશે. રથયાત્રા દરમિયાન બજરંગદળ અને દુર્ગાવાહિનીના અખાડાઓ દ્વારા હેરતઅંગેજ દાવપેચ રજૂ કરી શૌર્ય અને શક્તિનું અદ્ભુત પ્રદર્શન કરવામાં આવશે.ભગવાનના નગરભ્રમણ દરમિયાન યોજાતા આ અખાડાઓ વર્ષોથી રથયાત્રાનો અભિન્ન હિસ્સો રહ્યા છે, જે અબાલ-વૃદ્ધ સૌ કોઈ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બને છે. આ શૌર્ય શક્તિના કરતબો રજૂ કરવા માટે અખાડાના કાર્યકરો અને યુવાનો છેલ્લા ઘણા દિવસોથી સખત મહેનત કરી રહ્યા છે. ધર્મ, સંસ્કૃતિ અને શૌર્યના આ ત્રિવેણી સંગમ સમાન અખાડા મંડળીઓ દ્વારા હાલ તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગુરુવારે રથયાત્રા દરમિયાન ભાવનગરના માર્ગો પર અખાડિયનો પોતાના કરતબોથી છવાઈ જવા માટે સજ્જ બન્યા છે.






