રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં સવારથી જ હળવો વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આજે રાજધાની દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના 16
રાજ્યોમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા
અનુસાર હવામાનનો મિજાજ આક્રમક રહી શકે છે. લગભગ 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે
ભારે પવન ફુંકાઇ શકે છે.
હવામાન વિભાગે જે 16 રાજ્યો માટે ખાસ કરીને ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી બહાર પાડી
છે, તેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ,
જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને કેરળનો
સમાવેશ થાય છે.
હવામાનમાં ફેરફારની સૌથી વધુ અસર ઉત્તરના રાજ્યોમાં જોવા મળી શકે છે, જ્યાં તોફાની પવનોનું
રૌદ્ર સ્વરૂપ લોકોની મુશ્કેલીઓ વધારી શકે છે. અચાનક હવામાન બગડવાની આશંકાને ધ્યાનમાં રાખીને
વિભાગે ખાસ કરીને ઉત્તર ભારતના રહીશોને એલર્ટ અને સુરક્ષિત રહેવાની સલાહ આપી છે.
હિમાચલમાં ભારે વરસાદના ‘રેડ એલર્ટ’ વચ્ચે સોમવારે ચંબા જિલ્લાના પાંગીમાં ત્રણ જગ્યાએ વાદળ
ફાટવાથી નાળાઓમાં પૂર આવ્યું હતું. અહીં કામ કરી રહેલા શ્રમિકો ફસાઈ ગયા હતા, જેમને ગ્રામજનોએ
નાળાની સામસામે લોખંડની સીડી મૂકીને બહાર કાઢ્યા હતા.
પૂરના કારણે નાળા પરના પુલ અને રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થવાની સાથે રોકડિયા પાક પણ તબાહ થઈ
ગયા છે. મંડી જિલ્લામાં ટેકરી ધસી પડવાથી કુફરુ રોડની નીચે 90 ફૂટ લાંબુ કૃત્રિમ તળાવ (સરોવર)
બની ગયું છે.
ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે ચારધામ યાત્રાના ધોરીમાર્ગો (હાઈવે) અનેક જગ્યાએ બ્લોક
થઈ ગયા છે. વહીવટી તંત્રે ચારધામ યાત્રાને કામચલાઉ ધોરણે રોકી દીધી છે. યાત્રાનો માર્ગ સુરક્ષિત
થયા બાદ અને હવામાનની સ્થિતિ જોઈને યાત્રા ફરી શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.
દેહરાદૂન-મસૂરી હાઈવેનો લગભગ 10 મીટર જેટલો હિસ્સો ‘પાનીવાલા બેન્ડ’ પાસે ધસી ગયો છે, જેના
કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે.
બીજી તરફ, શ્રી અમરનાથ યાત્રાના જમ્મુ સ્થિત બેઝ કેમ્પ, લખનપુર ઉપરાંત કાશ્મીરના બાલટાલ અને
પહેલગામમાં પણ હજારો શિવભક્તો યાત્રા શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. સોમવારે વહેલી સવારે જમ્મુ
સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને તવી તથા
ચિનાબ નદી સહિત અનેક નાળાઓ પૂરના કારણે ઉભરાયા હતા.






