દેશભરના EPS-95 યોજના હેઠળના વડીલ પેન્શનધારકો લઘુત્તમ પેન્શન વધારીને રૂ.૭૫૦૦ પ્લસ મોંઘવારી ભથ્થું કરવાની માગ સાથે છેલ્લા ૧૧ વર્ષથી ગાંધી ચિંધ્યા માર્ગે લડત ચલાવી રહ્યા છે. સરકાર તરફથી માત્ર પોલા આશ્વાસનો જ મળતા હવે ૭૫થી ૮૫ વર્ષના વડીલોમાં ભારે અસંતોષ અને રોષ વ્યાપ્યો છે. આ અંગે ભાવનગર જિલ્લા EPS-95 પેન્શનર્સ સંઘના પ્રમુખ ખીમજીભાઈ યાદવે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને આક્રમક અપીલ કરતા જણાવ્યું હતું કે, “સાહેબ, તમે ગુજરાતી છો. આ વડીલોનો પ્રશ્ન વહેલી તકે પતાવો અને તેમને રોડ પર આવતા બંધ કરી સત્તાવાર નિર્ણય જાહેર કરો.”
સંઘ દ્વારા સ્થાનિક કલેક્ટર, સાંસદો, કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા અને નાણામંત્રીને ઈમેલ મારફતે રજૂઆતો મોકલાઈ છે. નેશનલ એજિટેશન કમિટીના પ્રમુખ કમાન્ડર અશોક રાઉત અત્યાર સુધીમાં ૩૪૮ જેટલા સાંસદો અને મંત્રીઓને મળી ચૂક્યા છે, છતાં કોઈ જ નક્કર પરિણામ આવ્યું નથી. RTI મુજબ પેન્શન ફંડમાં પૂરતું નાણાકીય ભંડોળ હોવા છતાં સરકાર દાદ આપતી નથી.
ન્યાય ન મળવાની સ્થિતિમાં પેન્શનરોએ ૧૫મી ઓગસ્ટ પછી આત્મવિલોપન જેવા આત્યંતિક પગલાં ભરવાની ગંભીર ચેતવણી આપી છે. આ માટે ગુજરાતમાંથી ૧૫૦૦થી વધુ વડીલોએ નામો નોંધાવી દીધા છે, જેમાં ટૂંક સમયમાં ભાવનગરના પેન્શનરોના નામો પણ ઉમેરાશે.


