ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ઓદરકા ગામે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક ધોળીયા ઓટાવાળા હનુમાનજી મંદિરમાં મોડી રાત્રે તસ્કરોએ ત્રાટકીને લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. મંદિરમાંથી ચાંદીના છતર અને ગદા સહિત કુલ રૂ. ૩.૭૫ લાખની કિંમતના દાગીના ચોરાઈ જતાં સ્થાનિક ભક્તો અને ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે.
ઓદરકા ગામના વતની બનેસિંહ હેંમતસિંહ ગોહિલ દ્વારા ઘોઘા પોલીસ મથકે નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, ગત તા. ૧૧ જુલાઈની સાંજે ૫:૩૦થી તા. ૧૨ જુલાઈની વહેલી સવારે ૫:૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન આ ચોરીનો બનાવ બન્યો હતો. તસ્કરોએ પકડાઈ જવાના ડરથી મંદિરની અંદર લગાવેલા સીસીટીવી કેમેરાની તોડફોડ કરી હતી અને તેના વાયર કાપી નાખ્યા હતા.
વહેલી સવારે પૂજા મંદિર ખુલ્લું મૂકાતાં જ ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. જોકે, મંદિરની સામે આવેલી એક દુકાનના સીસીટીવી ફુટેજ ચકાસતાં મોડી રાત્રે ત્રણ અજાણ્યા શખ્સો તસ્કરી કરતા સ્પષ્ટ કેદ થયેલા જણાયા હતા. આ ઘટના અંગે ઘોઘા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી, ફુટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


