ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, રાજ્યના વિવિધ વિસ્તારોમાં પડેલા અતિભારે વરસાદના પરિણામે સર્જાયેલી પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી, અસરગ્રસ્ત નાગરિકોને ઝડપી સહાય ઉપલબ્ધ થાય તે હેતુથી ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ ‘સેવા હી સંગઠન‘ના ભાવ સાથે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા 24×7 હેલ્પલાઇન સેવા/ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.
અસરગ્રસ્ત નાગરિકો અથવા તેમના સ્વજનો જાહેર કરાયેલા હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરીને અસરગ્રસ્ત વ્યક્તિની જરૂરિયાત, સ્થળ, સંપર્ક વિગત સહિતની જરૂરી માહિતી 63597 01000 અને 63596 02000 નંબર પર નોંધાવી શકશે. પ્રાપ્ત થતી વિગતોને પ્રાથમિકતા સાથે સંબંધિત વહીવટી તંત્ર સુધી પહોંચાડીને ત્વરિત સંકલન કરવામાં આવશે. ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે ભાજપા કાર્યકર્તાઓ ૨૪/૭ હાજર રહી સેવા બજાવશે. આ હેલ્પલાઇન/ કંટ્રોલ રૂમનો હેતુ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા અથવા મેઘતાંડવના કારણે મુશ્કેલીનો સામનો કરી રહેલા નાગરિકોની માહિતી મેળવી તેમને જરૂરી સહાય પહોંચાડવા માટેનો છે.
ભારે વરસાદના કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જનતાની વચ્ચે રહી નિઃસ્વાર્થ સેવા, રાહત અને સહાય કાર્યો દ્વારા ‘સેવા હી સંગઠન‘ ના મંત્રને સાચા અર્થમાં સાર્થક કરી રહ્યા છે અને બચાવ કામગીરીમાં તંત્રને સહયોગ કરી સતત કાર્ય કરી રહ્યા છે. આ કુદરતી આપત્તિના સમયમાં દરેક અસરગ્રસ્ત નાગરિક સુધી સહાય પહોંચે તે માટે બનતા તમામ પ્રયાસ કરવા ગુજરાત ભાજપા સંગઠન કટિબદ્ધ છે.






