ભારત સરકારના આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય હેઠળનું રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર કાર્યાલય (NSO)નું ક્ષેત્ર સંચાલન વિભાગ (FOD) વર્ષ 1950થી ઘરગથ્થુ પરિવારો તથા વિવિધ પ્રતિષ્ઠાનો પાસેથી માહિતી એકત્રિત કરવાની કામગીરી કરી રહ્યું છે. દેશવ્યાપી નમૂના સર્વેક્ષણો દ્વારા એકત્ર કરાયેલી આ આંકડાકીય માહિતી કેન્દ્ર અને રાજ્ય સરકારોને રાષ્ટ્રીય તેમજ રાજ્ય સ્તરે વિકાસ યોજનાઓના ઘડતર અને અસરકારક નીતિ નિર્માણમાં મહત્વપૂર્ણ સહાય પૂરી પાડે છે.
આ જ શ્રૃંખલા આગળ ધપાવતા, રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર કાર્યાલય દ્વારા 81મા રાઉન્ડના સામાજિક-આર્થિક સર્વેક્ષણો અંતર્ગત 1 જુલાઈ, 2026થી સમગ્ર દેશમાં વિવિધ મહત્વના સર્વેક્ષણો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં પરિવારોની સંપત્તિ, દેવું, રોકાણ અને નાણાકીય સ્થિતિ જાણવા માટે અખિલ ભારતીય ઋણ અને રોકાણ સર્વેક્ષણ (AIDIS) યોજાઈ રહ્યું છે. તે જ રીતે, કૃષિ પરિવારોની આવક, ખેતી ખર્ચ, પશુધન અને સરકારી યોજનાઓની પહોંચનું આકલન કરવા માટે સ્થિતિ આકલન સર્વેક્ષણ (SAS) તેમજ રોજગાર, શિક્ષણ કે લગ્ન જેવા કારણોસર થતા સ્થળાંતરની પેટર્ન સમજવા માટે સ્થળાંતર (Migration) સર્વેક્ષણ હાથ ધરાઈ રહ્યું છે. આ ઉપરાંત, દેશમાં પુરાવા આધારિત રોજગાર આયોજન માટે આવર્તક શ્રમબળ સર્વેક્ષણ (PLFS) દ્વારા શ્રમબજારના સૂચકો મેળવવામાં આવી રહ્યા છે, જ્યારે અસંગઠિત ક્ષેત્રના વિકાસ માટે બિન-નિગમિત ક્ષેત્રના ઉદ્યોગોનું વાર્ષિક સર્વેક્ષણ (ASUSE) ચલાવવામાં આવી રહ્યું છે.
આ તમામ સર્વેક્ષણો માટે NSOના પ્રશિક્ષિત અધિકારીઓ વૈજ્ઞાનિક સેમ્પલિંગ પદ્ધતિથી પસંદ કરાયેલા પરિવારો, ગામો, ઉદ્યોગો અને શહેરી બ્લોક્સની પ્રત્યક્ષ મુલાકાત લઈ રહ્યા છે, જેમાં માહિતીની ચોકસાઈ અને સુરક્ષા માટે e-Sigma સોફ્ટવેરથી સજ્જ ડિજિટલ ટેબ્લેટ તેમજ સુરક્ષિત વેબ પોર્ટલનો ઉપયોગ કરાઈ રહ્યો છે. ઘરગથ્થુ વિગતો પરિવારના વડા કે માહિતગાર સભ્ય પાસેથી અને ઉદ્યોગોની વિગતો સંસ્થાના માલિક કે અધિકૃત વ્યક્તિ પાસેથી એકત્ર કરાઈ રહી છે.
ઓગસ્ટ, 2026 દરમિયાન NSOના ઉપ પ્રાદેશિક કાર્યાલય, ભાવનગરના અધિકારક્ષેત્ર હેઠળના પસંદ કરાયેલા વિસ્તારોમાં વ્યાપક સર્વેક્ષણ કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં AIDIS અને SAS સર્વેક્ષણ મહુવાના અમૃતવેલ, તળાજાના બેલાડા, ગારિયાધારના માંડાવડા તેમજ વલ્લભીપુર, સિહોર, મહુવા, ગારિયાધાર અને ભાવનગર શહેરોમાં હાથ ધરાશે. સ્થળાંતર સર્વેક્ષણ અંતર્ગત ઘોઘાના ખરકડી, તળાજાના ઊંચડી, ભાવનગરના નાગધણીબા તેમજ અલંગ, ગારિયાધાર અને ભાવનગર શહેરોમાંથી માહિતી મેળવાશે. શ્રમબળ સર્વેક્ષણ (PLFS) માટે ઉમરાળાના ધામણકા, તળાજાના કેરલા અને ભાવનગર શહેરના પરિવારોની પસંદગી કરાઈ છે, જ્યારે બિન-નિગમિત ઉદ્યોગ સર્વેક્ષણ (ASUSE) અંતર્ગત ઢસા, અલંગ, મીઠાપુર અને અવાણિયાના સાહસો આવરી લેવાશે. વધુમાં, રાષ્ટ્રીય ઘરગથ્થુ આવક સર્વેક્ષણ (NHIS) ગારિયાધારના ડામરાળા, ભાવનગરના ભૂતેશ્વર, સિહોરના તાણા અને ઘાંઘળી તેમજ મહુવા અને ભાવનગર શહેરમાં યોજાશે, જ્યારે ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) માટે ચોગઠ, વલ્લભીપુર, ખદરપર, તળાજા અને ગોરખી ખાતેથી ભાવ સંબંધિત માહિતી એકત્ર કરાશે. આ રાષ્ટ્રીય મહત્વના અભિયાનમાં NSOના અધિકારીઓને સાચી માહિતી આપી પૂર્ણ સહયોગ આપવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.



