ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના નાના સુરકા ગામે કૃભકો સંસ્થા તથા નાના સુરકા સેવા સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે “સહકારી સશક્તિકરણ” કાર્યક્રમ યોજાયો હતો. કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન અને મત્સ્યોદ્યોગ વિભાગના મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ તથા નાના સુરકા સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા સંપન્ન થઈ હતી.
આ પ્રસંગે મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ સહકારી ક્ષેત્રને નવા વ્યવસાયિક અવસરો મળ્યા છે. શિહોર માર્કેટિંગ યાર્ડ અંગે તેમણે ઉમેર્યું હતું કે તાજેતરમાં નવા ડિરેક્ટરોની નિમણૂક કરવામાં આવી છે અને રાજ્ય સરકારના સહયોગથી તેને આધુનિક સુવિધાઓથી સજ્જ તેમજ ખેડૂતો માટે વધુ લાભદાયી બનાવવામાં આવશે.
કૃષિ ક્ષેત્રે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતાં મંત્રીએ જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરો અને દવાઓના અતિરેકથી જમીન, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઈ રહી છે, જેના કારણે કેન્સરના કેસો વધ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ લાખો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને તેના ઉત્પાદનોના માર્કેટિંગ માટે સરકાર યોગ્ય વ્યવસ્થા કરી રહી છે. વિકસિત ભારત-૨૦૪૭ માટે ગ્રામ્ય અર્થતંત્ર અને ખેતીની સમૃદ્ધિ અનિવાર્ય છે.

મંત્રીએ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા પર્યાવરણ રક્ષણ માટે થતી કામગીરીને બિરદાવી નાના સુરકા ગામને હરિયાળું બનાવવા ૨,૫૦૦ વૃક્ષો વાવવા અને તેના જતનના સંકલ્પને આવકાર્યો હતો. ઉપરાંત, ‘અપના ઘર’ પહેલ અંતર્ગત ગામના વડીલો માટે નિયમિત ટિફિન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો તથા શિહોર યાર્ડના નવનિયુક્ત ડિરેક્ટરો, સહકારી આગેવાનો અને હોદ્દેદારોનું સન્માન કર્યું હતું.
આ પ્રસંગે મામલતદાર એચ.વી. જાંબુચા, તાલુકા વિકાસ અધિકારી મૌસમસિંહ રાવ, સરપંચ પ્રવીણભાઈ ચૌહાણ, આગેવાનો રસિકભાઈ ભીંગરાળિયા, ભરતસિંહ ગોહિલ, માનસિંગ નકુમ, ગોપાલભાઈ, વી.ડી.ભાઈ, નાનુભાઈ વાઘાણી, સદભાવના વૃદ્ધાશ્રમના વિશાલભાઈ, લાલભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.






